ખાવા-પીવાના શોખીનો માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગર નેશનલ હાઇવે 48 પર આવેલી પ્રખ્યાત મેરી ગોલ્ડ હોટલ વિવાદમાં ઘેરાઈ છે. આ હોટલમાં એક ગ્રહાકને કડવો અનુભવ થયો છે. ભોજનમાં પીરસેલી ડુંગળીમાંથી જીવડું નીકળ્યું હતું, જેના પગલે ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રાહકે મેનેજરની ફરિયાદ કરી તો...
આ મુદ્દે જ્યારે ગ્રાહકે હોટલના જનરલ મેનેજરને ફરિયાદ કરી, ત્યારે જનરલ મેનેજર લાજવાને બદલે ગાજ્યો હતો, ફરિયાદ ન સ્વીકારી અને ગ્રાહક સાથે ખરાબ ભાષા અને અશોભનીય વર્તન કરી અને દાદાગીરી ભર્યું વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે.
જીવાત નીકળવાનો સિલસિલો યથાવત?
પીઝા, બર્ગર સહિતની ખાણી પીણીની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. અગાઉ રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં પણ ખાણી-પીણીની વસ્તુમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જો કે, આ ઘટના મામલે આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે સૌથી મોટો સવાલ?




















