હૈદરાબાદથી બેંગલુરુ જતી કાવેરી ટ્રાવેલ્સની વોલ્વો બસમાં નેશનલ હાઇવે-44 (NH-44) પર કુર્નૂલ નજીક મધ્યરાત્રિ બાદ સવારે 3:30 વાગ્યે ભયંકર આગ લાગી. 38 મુસાફરો અને બે ડ્રાઇવર સાથે રવાના થયેલી આ બસ એક ટુ-વ્હીલર સાથે અથડાઈ, જે બસની નીચે ફસાઈ ગયું. પ્રારંભિક તપાસ મુજબ, આ અથડામણથી તણખા નીકળ્યા અને થોડી જ મિનિટોમાં બસ આગની લપેટમાં આવી ગઈ.આગ ઝડપથી ફેલાતાં મુસાફરોએ બારીઓના કાચ તોડીને બચવાનો પ્રયાસ કર્યો. કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યા, પરંતુ 11 લોકો આગની ચપેટમાં આવી મૃત્યુ પામ્યા.
મૃતકોની ઓળખ માટે પ્રયાસો શરુ
અકસ્માતમાં ઘાયલ થયેલા 11 મુસાફરોમાંથી 9 સરકારી હોસ્પિટલમાં અને 3 ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કુર્નૂલના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, "ટુ-વ્હીલર બસની નીચે ફસાવાથી તણખા નીકળ્યા હશે, જેના કારણે આગ લાગી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે." પોલીસ ગુમ થયેલા મુસાફરોની શોધખોળ અને મૃતકોની ઓળખ માટે પ્રયાસો કરી રહી છે.આ ઘટનાએ હાઇવે સલામતી અને વાહનોની આગ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.




















