Ahmedabad City Bridge : અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા અને જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 100 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના જુના એવા કુલ 16 ઓવરબ્રિજ પર હવે ભારે અને ઓવરલોડ વાહનોના પસાર થવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય બ્રિજની માળખાકીય સુરક્ષા જાળવવા અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય અકસ્માત ટાળવા માટે લેવામાં આવ્યો છે.
હાઇટ બેરીયર લગાવવાનો નિર્ણય
AMC દ્વારા આ તમામ 16 જુના ઓવરબ્રિજ પર રીસ્ટ્રીકટેડ હાઇટ બેરિયર લગાવવામાં આવશે, જેથી નિર્ધારિત ઊંચાઈથી વધારે ઊંચાઈ ધરાવતા ભારે વાહનો બ્રિજ પર ચઢી ન શકે. આ સાથે દરેક બ્રિજ પર સ્પષ્ટ માહિતી આપતા સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે, જેમાં બ્રિજની ડિઝાઇન ક્ષમતા (લોડિંગ વહન કરવાની ક્ષમતા) દર્શાવવામાં આવશે. જેથી વાહનચાલકોને પહેલેથી જ જાણ થઈ શકે કે કયા પ્રકારના વાહનોને બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી છે અને કયા વાહનો માટે પ્રતિબંધ છે.
ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં
આ સમગ્ર યોજના માટે AMC દ્વારા અંદાજે 2.49 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બેરિયરો અને સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા પછી ઓવરલોડ તથા ભારે વાહનોને આ જુના ઓવરબ્રિજ પરથી પસાર થવાની મંજૂરી નહીં મળે. AMCના આ પગલાથી જૂના બ્રિજોની આયુષ્ય વધશે, ટ્રાફિક વ્યવસ્થા વધુ સુરક્ષિત બનશે અને શહેરના નાગરિકોને વધુ સલામત માર્ગ વ્યવસ્થા મળશે.






