હવામાન વિભાગે આજે સવારે 7 વાગ્યે જારી કરેલા મોન્સૂન વેધર નોટિફિકેશન અનુસાર રાજ્યમાં આગામી કલાકોમાં વધુ વરસાદના સંકેત છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને હળવા વાવાઝોડાની તીવ્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વિભાગ દ્વારા જણાવાયું છે કે આગામી ત્રણ કલાક માટે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં છલકાયાં મેઘરાજા
રાજ્યના 209 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી લઈ ભારે વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6.18 ઇંચ નોંધાયો છે.
અન્ય મુખ્ય વરસાદગ્રસ્ત વિસ્તારો:
ડાંગના સુબીરમાં – 5.28 ઇંચ
કચ્છના ભુજમાં – 5.00 ઇંચ
સુરતના બારડોલીમાં – 4.92 ઇંચ
પલસાણા (સુરત) – 4.45 ઇંચ
નખત્રાણા (કચ્છ) – 4.40 ઇંચ
વલ્લભીપુર (ભાવનગર) – 4.21 ઇંચ
વ્યારા (તાપી) – 3.90 ઇંચ
વાંસદા (નવસારી) – 3.54 ઇંચ
બાલાસિનોર (મહીસાગર) – 3.43 ઇંચ
નવસારીના વાંસદામાં SDRF દ્વારા 8 ખેતમજૂરોને બચાવાયા
નવસારી જિલ્લામાં કાવેરી નદીના પાણીના સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં વાંસદા તાલુકાના હનુમાનબારી નજીક આવેલા ખેતરમાં કામ કરી રહેલા 8 ખેતમજૂરો પાણીમાં ફસાઈ ગયા હતા.
આ અંગે વહીવટી તંત્ર અને પોલીસને જાણ થતાં તાત્કાલિક SDRFની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. તમામ ખેતમજૂરોને સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. ફસાયેલા લોકો હનુમાનબારી, ગોધાબારી અને કેવડી ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગની ચેતવણી :
રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડી શકે છે. નદીઓ-નાળાઓ નજીક ના જવાની લોકોમાંથી અપીલ છે અને વહીવટી તંત્ર સતત મોનીટરીંગ કરી રહ્યું છે.





















