ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે શાળાઓ શરૂ થવાની હવે માત્ર બે અઠવાડિયા બાકી રહ્યા છે, પરંતુ હજી સુધી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાયા નથી. સામાન્ય રીતે વેકેશન ખુલવાના એક મહિના પહેલા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થતા હોય છે પરંતુ 9 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થાય છે પરંતુ હજી સુધી ગુજરાતની સ્ટેશનરીની દુકાનોમાં પાઠ્યપુસ્તકો મળતા નથી. સ્ટેશનરી દુકાનના માલિકોનું કહેવું છે કે હજી ડેપોમાં પણ પુસ્તકો આવ્યા નથી જેથી કરીને આ વખતે પુસ્તકોની વહેંચણી કરવી ખૂબ જ મૂશ્કેલી આવવાની છે. દુકાનદારોની સાથે સાથે વાલી અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ વેકેશનમાં આગોતરી તૈયારી કરતા હોય છે તેમને પણ આ વખતે પુસ્તકો ન મળવાથી તેઓ પોતાના નિયમિત શિક્ષણમાં ધ્યાન આપી શક્યા નથી.
પુસ્તકો ન મળવાથી વિધાર્થી નિયમિત શિક્ષણમાં ધ્યાન આપી શક્યા નથી
૨૦૨૩-૨૪માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કરેલ હતું. આ ટેન્ડર છેલ્લા ૧૫ વર્ષથી એકની એક જ એજન્સીને મળતું હતું. આ પ્રકારના કાગળ અન્ય એજન્સી ૮૭ રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે ૧૦૭ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામા આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં જુન મહિનામાં જે પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળમાં મીલોનો ભાવ રૂા. ૫૩.૫૦ પ્રતિ કિ.ગ્રા. ૭૦ ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે.
ગુજરાત કોંગ્રેસ માગણી કરે છે કે પાઠ્યપુસ્તક મંડળે મેળવેલા કાગળની ગુણવત્તા ચકાસવા માટે અધિકૃત લેબમાં તેની તપાસ કરાવી જોઈએ તથા સત્વરે વિદ્યાર્થીઓ માટે સારી ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકો સ્ટેશનરીની દુકાનમાં ઉપલબ્ધ થાય તેવા પ્રકારનું આયોજન કરવું જરૂરી છે






