હિમાચલ પ્રદેશમાં મોનસૂનની શરૂઆત થતાં જ ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાજધાની શિમલામાં એક ચોંકાવનારી ઘટનામાં, ભારે વરસાદના કારણે ભટ્ટાકુફર વિસ્તારની મથુ કોલોનીમાં આવેલી પાંચ માળની ઇમારત સોમવારે સવારે ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો, પરંતુ સદનસીબે, સમયસર ખાલી કરાવવામાં આવેલી ઇમારતના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
3 સેકંડમાં ધસી પડી 5 મઆળની બિલ્ડિંગ:
સોમવારે, 30 જૂન 2025ના રોજ, શિમલાના ભટ્ટાકુફર વિસ્તારમાં સ્થિત મથુ કોલોનીમાં એક પાંચ માળની ઇમારત ભારે વરસાદના કારણે થોડી જ સેકન્ડમાં ધરાશાયી થઈ ગઈ. આ ઇમારત ચમ્યાણા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર આવેલી હતી. ડીડી ન્યૂઝ હિમાચલના અહેવાલ મુજબ, નજીકમાં ચાલી રહેલા ફોર-લેન રોડના બાંધકામને કારણે ઇમારતની દીવાલોમાં તિરાડો દેખાઈ હતી, જેના કારણે રવિવારે રાત્રે જ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઇમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. આ સમયસરના નિર્ણયે એક મોટી દુર્ઘટનાને ટાળી હતી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ઇમારતના ધરાશાયી થવાની ભયાનક ક્ષણો જોઈ શકાય છે. વીડિયોમાં ઇમારત શરૂઆતમાં સ્થિર દેખાય છે, પરંતુ અચાનક તેની દીવાલોમાં રહેલી તિરાડો વધવા લાગે છે, અને થોડી જ વારમાં સમગ્ર બિલ્ડિંગ તાસના પત્તાની જેમ ખડક થઈ જાય છે. આ દ્રશ્યએ શિમલાના રહેવાસીઓ અને પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું.
સ્થાનિકોનો આક્ષેપ: ફોર-લેન બાંધકામ જવાબદાર:
સ્થાનિક લોકો અને ગામના પંચાયતના ઉપપ્રધાન યશપાલ વર્માએ આ ઘટના માટે નજીકમાં ચાલી રહેલા ફોર-લેન રોડના બાંધકામને જવાબદાર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે બાંધકામને કારણે ઇમારતના પાયામાં નબળાઈ આવી હતી, અને તેની દીવાલોમાં તિરાડો દેખાતી હતી. બાંધકામ કંપનીને આ અંગે વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. વર્માએ ટાઈમ્સ નાઉને જણાવ્યું કે, “કંપનીએ સલામતીની ખાતરી આપી હતી, પરંતુ આજે એક મોટી દુર્ઘટના ઘટી છે.” તેમણે એમ પણ ઉમેર્યું કે નજીકની અન્ય ઇમારતો પણ જોખમી ઝોનમાં છે, જે ચિંતાનો વિષય છે.
ભારે વરસાદની અસર
હિમાચલ પ્રદેશમાં મોનસૂનની શરૂઆતથી જ ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રવિવારે શિમલા સહિત રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ એલર્ટના પગલે, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કાંગડા, મંડી, સોલન અને સિરમૌર જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોને સોમવારે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મંડીના ડીસી અપૂર્વ દેવગણે આઈઆઈટી મંડી, લાલ બહાદુર શાસ્ત્રી સરકારી મેડિકલ કોલેજ અને અન્ય તબીબી સંસ્થાઓ સિવાયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રો માટે રજા જાહેર કરી હતી.
રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 129 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં સિરમૌર (57 રસ્તા) અને મંડી (44 રસ્તા)માં સૌથી વધુ નુકસાન થયું છે. આ ઉપરાંત, 612 ટ્રાન્સફોર્મર્સ ખરાબ થયા છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા અનુસાર, 20 જૂનથી શરૂ થયેલા મોનસૂનમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, અને ચાર લોકો ગુમ થયા છે.ભૂસ્ખલન અને નદીઓમાં પૂર"
ભારે વરસાદે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જી છે. બિલાસપુર, હમીરપુર, કાંગડા, કુલ્લૂ, મંડી, શિમલા, સોલન, સિરમૌર, ઉના અને ચંબા જિલ્લાઓમાં મધ્યમથી ઉચ્ચ જોખમનું ફ્લેશ ફ્લડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંડીમાં જૂની ખડ અને બિયાસ નદીનું જળસ્તર વધી ગયું છે, જેના કારણે લોકોને નદીઓના કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. લારજી ડેમમાંથી પાણી છોડવાને કારણે પાંડોહ ડેમના તમામ પાંચ સ્પિલવે ગેટ ખોલવામાં આવ્યા, જેનાથી બિયાસ નદીનું જળસ્તર 44,000 ક્યુસેક સુધી પહોંચી ગયું. આના પરિણામે દેહર પાવર હાઉસમાં વીજ ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું.
સોલનના બેરોટીવાલા ઔદ્યોગિક વિસ્તારમાં હિમુડા કોમ્પ્લેક્સ નજીક એક પુલ પાણીમાં તણાઈ ગયો, જેના કારણે મંધલા અને બગ્ગુવાલા જતા રસ્તાઓ બંધ થઈ ગયા. કુલ્લૂ અને કાંગડામાં વાદળ ફાટવાની ઘટનાઓએ પણ નુકસાન વધાર્યું છે.




















