યોગી સરકારની કાર્યપ્રણાલીને લઈને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ નારાજ થયા છે. જાહેર મંચ પર એક કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં આનંદીબેન એવું કહેતા નજરે પડે છેકે, ફાઈલ લઈને આવતા લોકોને વારંવાર સરકારી કચેરીઓના સરકારના ધક્કા ખાવા પડે છે.
રાજ્યપાલ આનંદીબેને જણાવ્યુંકે, કોઈ વ્યક્તિ પોતાની રજૂઆત સાથેની ફાઈલ લઈને આવે તો તેને ધક્કા ખવડાવવામાં આવે છે. પહેલાં વ્યકિત એક જગ્યાએ ફાઈલ લઈને પહોંચે છે. તો તેમાં વાંધા કાઢીને અધિકારી બીજા ટેબલ પર મોકલે છે. વ્યક્તિ અગાઉના વાંધા પુરા કરીને ફરી કચેરીએ જાય તો ત્યાં બીજા ટેબલ પર બેસેલો અધિકારી એમાં કમીઓ એટલેકે, નવા વાંધા શોધીને તેને ત્રીજા અધિકારી પાસે ત્રીજા ટેબલ પર મોકલે છે. વ્યક્તિ અધિકારીએ માંગેલા તમામ પુરાવા લઈને ફરી પહોંચે છે. ત્યારે એમાં ફરી વાંધા કાઢીને એને ફરી ધક્કો ખવડાવવામાં આવે છે. અધિકારીઓની આ પ્રકારની કાર્યપ્રણાલીને લઈને રાજ્યપાલે યોગી સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે.
મંચ પરથી રાજ્યપાલ આંનદીબહેને એવો પણ ટોણો માર્યો કે, જો કોઈ મહાનુભાવ યુપીમાં અયોધ્યાના દર્શને આવે છે તો તેને તુરંત તેના દર્શન થઈ જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ યોગ્ય કામની રજૂઆતની ફાઈલ લઈને આવે છે તો તેને અલગ-અલગ ટેબલ પર વારંવાર અલગ-અલગ અધિકારીઓના દર્શન કરવા પડે છે. અધિકારીઓના દર્શન કરી કરીને માણસ થાકી જાય છે પરંતુ તેનું કામ થતું નથી. યોગી સરકારની આવી અવદશા છે. તેમણે કહ્યુંકે, આ વાત માત્ર યુપી સરકાર પુરતી સિમિત નથી. બધી જગ્યાએ સરકારી કચેરીઓમાં આજ સ્થિતિ છે. જેને કારણે નાગરિકો હેરાન થાય છે. આનંદીબહેને આ મુદ્દે યોગી સરકારના અધિકારીઓને કહ્યું હતુંકે, હું માત્ર એટલું જ કહું છુંકે, જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ મુદ્દાની રજૂઆતની ફાઈલ લઈને આવે છે ત્યારે જ તેમાં જરૂરી પુરાવાઓ મંગાવવા માટે અને તેની ફાઈલની કમીઓ એટલેકે, વાંધાઓ અધિકારીએ એક સાથે જ જણાવી દેવા જોઈએ. જેને કારણે નાગરિકોએ અલગ-અલગ અધિકારીઓના દર્શને આવીને વારંવાર ધક્કા ના ખાવા પડે.





















