બીલી ફળ, જેને બીલીપત્ર અથવા બેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ધરાવતા આ ફળનું ઝાડ ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં ઉપયોગી છે. અને તેના પાંદડા તેમજ ફળનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. બીલી ફળની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી બની શકે છે. બીલી ફળની ખેતી ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ આવકનો સ્ત્રોત બની શકે છે. તેની આધ્યાત્મિક અને ઔષધીય માંગને કારણે બજારમાં સ્થિર ભાવ મળે છે. જો ખેડૂતો યોગ્ય આયોજન અને ઓછા રોકાણ સાથે આ ખેતી કરે તો તેઓ નોંધપાત્ર નફો મેળવી શકે છે.
કેવી રીતે થાય છે બીલી ફળ?
બીલી ફળનું ઝાડ રેતાળ અથવા ચીકણી જમીન યોગ્ય હોય છે. જો કે તેમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી જરૂરી છે. બીજ અથવા રોપણી દ્વારા આ ઝાડનું વાવેતર કરી શકાય છે. વાવેતર માટે જુલાઈથી ઓગસ્ટ મહિનાનો શ્રેષ્ઠ સમય છે. જો 8થી 10 મીટરના અંતરે વાવેતર કરવામાં આવે તો ઝાડનો સારો વિકાસ થઈ શકે છે.
બીલી ફળની ખેતીમાં કેટલો થાય છે ખર્ચ?
બીલી ફળની ખેતીનો ખર્ચ પ્રારંભિક રોકાણ અને જાળવણી પર આધાર રાખે છે. એક હેક્ટરમાં બીલીની ખેતી માટે જમીન તૈયારી અને રોપણી, બીજ અથવા રોપાઓ, ખાતર અને જંતુનાશકો, પિયત અને મજૂરી સહિતનો પ્રથમ વર્ષનો કુલ ખર્ચ લગભગ 50,000થી 75,000 રૂપિયા થઈ શકે છે. ત્યાર બાદના વર્ષોમાં જાળવણીનો ખર્ચ ઘટીને 25,000થી 35,000 રૂપિયા થઈ જાય છે.
એક વખત વાવણી અને 30 વર્ષ સુધી કમાણી
બીલીનું ઝાડ 4-5 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. એક પુખ્ત ઝાડ વાર્ષિક 50થી 100 કિલો ફળ આપી શકે છે. બજારમાં બીલી ફળનો ભાવ 30થી 50 રૂપિયા પ્રતિ કિલો હોય છે. એક હેક્ટરમાં 100થી 150 ઝાડમાં 5,000થી 15,000 કિલો ફળનું ઉત્પાદન થઈ શકે છે. જેની બજાર કિંમત મુજબ 1.5 લાખથી 4.5 લાખ રૂપિયા આવક તઈ શકે છે. આ ઉપરાંત બીલીના પાંદડા પણ બજારમાં 100થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
બીલી ફળની ખેતીના ફાયદા
બીલી ફળની ખેતીમાં ઓછા પાણી અને ખાતરની જરૂર પડે છે..સાથે જ બીલીના પાંદડા અને ફળની માંગ ધાર્મિક કાર્યોમાં સતત રહે છે. બીલીના ફળ અને પાંદડામાં એન્ટી-ડાયાબિટીક, એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોવાથી આયુર્વેદિક ઉદ્યોગમાં તેની માંગ વધે છે. વાવણી બાદ બીલીનું ઝાડ 20થી 30 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. જેથી એક વખતના ખર્ચ બાદ લાંબા સમય સુધી આવક મળી રહે છે.





















