ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતો જ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક માવઠું પડી શકે છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હવામાનમાં એકસાથે બે વિપરીત સ્થિતિઓ હીટવેવ અને વરસાદ જોવા મળી શકે છે.
પશ્ચિમી વિક્ષેપથી બદલાશે હવામાન
હવામાન વિભાગના અનુમાન અનુસાર પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થતાં ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ગરમીના આ સમયગાળામાં તાપમાન સતત વધતું રહે છે, પરંતુ હવે વાદળછાયું વાતાવરણ, પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા ઉભી થઈ છે.
આ પ્રકારનો હવામાન ફેરફાર ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી શરૂ થઈ ગુજરાત સુધી અસર કરે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં ભેજ વધે છે, જેના કારણે અચાનક વરસાદ અને વીજળીના કડાકા સાથે ગાજવીજ થવાની શક્યતા રહે છે.
યલો એલર્ટ: કયા વિસ્તારોમાં સાવચેતી જરૂરી?
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટનો અર્થ છે કે હવામાનની પરિસ્થિતિ સામાન્યથી અલગ હોઈ શકે છે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે.
હવામા વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયા વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે, ત્યારે કેટલીક જગ્યાએ અચાનક ભારે ઝાપટાં આવી શકે છે. અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
ગરમી અને વરસાદનું ડબલ કોમ્બિનેશન
આ વખતની પરિસ્થિતિમાં ખાસ વાત એ છે કે એક તરફ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી રહ્યું છે, તો બીજી તરફ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
આવો વિપરીત હવામાન ફેરફાર સામાન્ય રીતે પ્રી-મોન્સૂન સિઝનમાં જોવા મળે છે, જ્યાં દિવસ દરમિયાન ગરમી વધી જાય છે અને સાંજ કે રાત્રે અચાનક પવન અને વરસાદ આવે છે. દેશના અનેક વિસ્તારોમાં પણ હીટવેવ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય
કમોસમી વરસાદનો સૌથી મોટો પ્રભાવ ખેડૂતો પર પડે છે. હાલમાં ઘણા પાકો કાપણી માટે તૈયાર હોય છે, અને આવા સમયે વરસાદ પડે તો મોટું નુકસાન થઈ શકે છે.
ખાસ કરીને ઘઉં, ચણા અને કપાસના પાકને નુકસાનની શક્યતા, બજારમાં લાવવામાં આવેલા પાક ભીંજાઈ શકે, જેથી કરીને કૃષિ ઉત્પાદનના ભાવ પર અસર દેખાવાની શક્યતા છે.
તાજેતરમાં અમરેલી અને જામનગર જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને પાકને નુકસાનની ભીતિ વ્યક્ત થઈ છે.






