ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પહેલા જ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં એક તરફ ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે ગુજરાત માટે કમોસમી વરસાદની નવી આગાહી જાહેર કરી છે. 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે ગાજવીજ સાથે પવન અને વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને 30 માર્ચે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ પરિસ્થિતિ 2 એપ્રિલ સુધી યથાવત રહી શકે છે.
આ 8 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર
હવામાન વિભાગ મુજબ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડો ઘટાડો અનુભવાઈ રહ્યો છે, જેના કારણે લોકોને તાત્કાલિક રાહત મળી શકે છે.
પવનની ગતિ અને તાપમાનમાં ઘટાડો
આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ પણ વધી શકે છે. વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ અસરકારક રહી શકે છે.
તાપમાન અંગે વાત કરીએ તો આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે ઉકળાટમાં ઘટાડો થશે. ગરમીથી પરેશાન લોકોને આ બદલાવથી થોડી રાહત મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું : સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, હજુ પણ ખેડૂતો ચિંતા વધારતી આગાહી
ખેડૂતો માટે ચિંતાના વાદળ
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફથી ચક્રવાતી પરિસ્થિતિ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના પરિણામે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધી છે. 30 માર્ચે થન્ડરસ્ટોર્મની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે 2 અને 3 એપ્રિલે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.
જો કે, આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. પાક તૈયાર થયેલા સમયમાં આવી કમોસમી વરસાત ખેતીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર ખેડૂતો સહિત તમામ વર્ગોની નજર રહેશે.





