Gujarat TET-1 Recruitment: ગુજરાતમાં TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો હવે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે સરકાર સમક્ષ પહોંચ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ભરતી પ્રક્રિયા આગળ વધી રહી નથી, જેના કારણે હજારો યુવાનો લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોએ રાજ્ય સરકારને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) અને સમગ્ર ભરતી પ્રક્રિયાનું સમયપત્રક તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યની અનેક સરકારી, ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં કાયમી શિક્ષકોની ભારે અછત છે. તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ભરતી પ્રક્રિયામાં વધુ વિલંબ ન કરે અને પારદર્શક રીતે તમામ તબક્કાઓનું સમયપત્રક જાહેર કરે તેવી માંગ ઉઠી છે.
PML જાહેર થતાં ભરતી પ્રક્રિયાને મળશે ગતિ
TET-1 પાસ ઉમેદવારોનું માનવું છે કે, જો સરકાર તાત્કાલિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરશે તો ભરતી પ્રક્રિયાનો આગામી તબક્કો ઝડપથી આગળ વધી શકશે. તેમણે જણાવ્યું કે, PML જાહેર થયા બાદ જિલ્લા પસંદગી, દસ્તાવેજ ચકાસણી (Document Verification) અને અંતિમ નિમણૂક જેવી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરી શકાય છે. હાલમાં કોઈ સ્પષ્ટ સમયપત્રક ન હોવાથી ઉમેદવારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે.
ભરતીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવાની માંગ
ઉમેદવારોએ સરકાર સમક્ષ રજૂઆત કરીને સમગ્ર ભરતી પ્રક્રિયાનું વિગતવાર શેડ્યૂલ જાહેર કરવાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે, દરેક તબક્કાની તારીખો અગાઉથી જાહેર કરવામાં આવે તો ઉમેદવારો યોગ્ય આયોજન કરી શકશે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પણ જળવાઈ રહેશે. સાથે જ અનાવશ્યક વિલંબ અને ગેરસમજને પણ ટાળી શકાશે.
શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત
ઉમેદવારોના જણાવ્યા મુજબ રાજ્યની અનેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ લાંબા સમયથી ભરાઈ નથી. ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો મળતા નથી, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે. તેમણે જણાવ્યું કે, જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે તો એક તરફ શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે અને બીજી તરફ હજારો TET-1 પાસ યુવાનોને રોજગારી પણ મળશે.
સરકારને વહેલી તકે નિર્ણય લેવા અપીલ
ઉમેદવારોએ રાજ્ય સરકારને બાળકોના શૈક્ષણિક હિત અને બેરોજગાર યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને TET-1 ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની વિનંતી કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારે હવે વધુ વિલંબ કર્યા વગર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી જિલ્લા પસંદગી, દસ્તાવેજ ચકાસણી અને અંતિમ નિમણૂક સહિત સમગ્ર ભરતી પ્રક્રિયાનું સ્પષ્ટ સમયપત્રક જાહેર કરવું જોઈએ, જેથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને વહેલી તકે ન્યાય મળી શકે.
ઉમેદવારોએ શું કહ્યું?
આ મુદ્દે ઉમેદવાર દીપ્તિબા સિસોદિયાએ જણાવ્યું કે, હજારો ઉમેદવારો લાંબા સમયથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. સરકારે હવે વિલંબ કર્યા વગર PML જાહેર કરીને ભરતી પ્રક્રિયા આગળ વધારવી જોઈએ. જ્યારે ઉમેદવાર અજય બારડએ જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. સરકારે પારદર્શક અને સમયબદ્ધ ભરતી પ્રક્રિયા અમલમાં મૂકી કાયમી શિક્ષકોની વહેલી તકે નિમણૂક કરવી જોઈએ.






