લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતમાં આખરે મેઘરાજાએ ફરી એકવાર પોતાની હાજરી નોંધાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારે સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતા વરસાદી માહોલ જામ્યો હતો. અનેક સ્થળોએ ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વિરામને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણે સામાન્ય જનજીવન તેમજ ખેતી પર અસર પડી રહી હતી. જોકે હવે મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
આ પણ વાંચો : ગુજરાતનાં હવામાનમાં આવશે પલટો : આગામી અઠવાડિયાથી અનેક જિલ્લાઓમાં વરસાદની IMDની આગાહી
જૂનાગઢ અને જામજોધપુરમાં મેઘમહેર, વાતાવરણમાં ઠંડક
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ ભીના બન્યા હતા અને લાંબા સમય બાદ ધરતીને વરસાદનો સ્પર્શ મળ્યો હતો. વરસાદ શરૂ થતાં જ લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી, જ્યારે ખેડૂતો માટે પણ આ વરસાદ આશાનું કિરણ બની રહ્યો છે.
જામજોધપુર પંથકમાં પણ વહેલી સવારથી આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ઉભા પાક માટે આ વરસાદ ઉપયોગી સાબિત થઈ શકે છે.
અરવલ્લીમાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતો હજુ ચિંતિત
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી હતી. યાત્રાધામ શામળાજી, મેઘરજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જોકે આ વરસાદ હજુ ખેતી માટે પૂરતો માનવામાં આવતો નથી.
અરવલ્લી જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ખેડૂતો અગાઉ વાવણી કરી ચૂક્યા છે, પરંતુ વરસાદના અભાવે પાકના વિકાસ પર અસર પડી રહી છે. સતત પડેલા વિરામને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને કેટલાક વિસ્તારોમાં પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો હવે આગામી દિવસોમાં સારો અને સતત વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: કોમન મેનથી લઈને ગુજરાતના CM સુધીની સફર : જન્મદિવસ પર જાણો 'દાદા'ના નામે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાણી અજાણી વાતો
કૃષિ માટે આગામી દિવસો રહેશે નિર્ણાયક
રાજ્યમાં હાલ પડેલો વરસાદ ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો છે, પરંતુ કૃષિ નિષ્ણાતોના મત મુજબ માત્ર છૂટાછવાયા વરસાદથી પૂરતો લાભ મળવો મુશ્કેલ છે. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય ખરીફ પાક માટે આગામી દિવસોમાં સતત અને વ્યાપક વરસાદ જરૂરી રહેશે. જો આગામી દિવસોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે તો પાકના વિકાસને વેગ મળશે અને ખેડૂતોની ચિંતા નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. લોકો હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આશા રાખી રહ્યા છે. જો મેઘરાજાની મહેર સતત ચાલુ રહેશે તો જળાશયોમાં પાણીની આવક વધશે, ખેતીને મોટો ફાયદો થશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.






