Gujarat Public Trust Amendment Bill-2025 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું છે ત્યારે “ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ”ને વેગ આપીને અર્નિંગ વેલ – લિવિંગ વેલની સંકલ્પના સાકાર કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. 15મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે આ હેતુસર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સરળતા અને પારદર્શિતા તરફના વધુ એક નક્કર કદમરૂપે પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને - ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે. એટલું જ નહિ, ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ ઉપયુક્ત બનશે.
જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025
મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025ની ભૂમિકા વિધાનગૃહ સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ દેશમાં વિકાસ માટે સ્થિર નીતિઓ અને સારું વ્યવસાયિક વાતાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે હંમેશા કાયદાઓને આધુનિક, ફ્લેક્સિબલ, પીપલ ફ્રેન્ડલી અને વિશ્વાસ-આધારિત બનાવ્યા છે. સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોની ભૂમિકાને પણ મહત્વની ગણી છે. એટલું જ નહિ, ટેકનોલોજીનો ઉપયોગથી જ્યાં ઝડપી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય એવા ક્ષેત્રોમાં તેમના માર્ગદર્શનને પણ સરકારે આવકાર્યું છે. આથી, કેન્દ્ર સરકારે 2023માં જન વિશ્વાસ કાયદો અમલમાં મુકીને સરકારે કમ્પ્લાયન્સીસ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરવામાં આવ્યા. આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળ્યું છે. તાજેતરમાં જ જનવિશ્વાસ બિલ 2.0 સંસદમાં રજૂ થયું છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના જનવિશ્વાસ વિધેયક 2.0નો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક-2025 તૈયાર કર્યું છે.
ટ્રસ્ટ બેઈઝ્ડ ગવર્નન્સ અને પ્રો-પીપલ ગવર્નન્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ક્રીમેન્ટલ ચેન્જ માટે નહિ પરંતુ ક્વોંટમ જંપના લક્ષ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખેલા ગુજરાતના સુદ્રઢ વિકાસના પાયાને વધુ સંગીન બનાવવા પ્રતિબદ્ધ છે. ટ્રસ્ટ બેઈઝ્ડ ગવર્નન્સ અને પ્રો-પીપલ ગવર્નન્સ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા આગ્રહી રહ્યા છે તેને સાકાર કરતાં રાજ્ય સરકારના 6 વિભાગોના 11 કાયદાઓ-નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત ડિક્રિમિનલાઈઝ્ડ કરવાનો આ વિધેયકનો હેતુ છે. મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને ફાઈન એટલે કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે.
498 જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે!
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, શ્રમ - કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નર્મદા - જળ સંપત્તિ - પાણી પુરવઠા કલ્પસર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ - ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા નાણાં વિભાગના 11 કાયદાઓ નિયમો હેઠળની 516 જોગવાઈઓને અપરાધમુક્ત કરવાથી સજાના ડરને બદલે પ્રામાણિક્તાથી કાયદાઓના પાલનમાં મદદ મળશે. મંત્રી બળવંતસિંહ રાજપુતે જે 516 જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે. 14 જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી રહી છે અને 498 જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે.
'આ કાયદામાં ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો'
આ ઉપરાંત 8 કાયદાઓ હેઠળ ઉલ્લંઘનના સમાધાન માટેની વ્યવસ્થા સાથે અધિકારી દ્વારા પેનલ્ટીની રકમ સ્વીકારી શકાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થયેલા આ વિધેયકનો હેતુ નિયમોમાં સુધારાથી પણ એક કદમ આગળ વધીને સરકાર અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. આ વિધેયકનો મુખ્ય હેતુ ફાઈલિંગ વિલંબ, લાઇસન્સ રિન્યુઅલમાં વિલંબ, સલામતી ઉલ્લંઘન અંગેની નાની ભૂલો માટે અણધાર્યા અને ફોજદારી આરોપોથી મુક્તિ આપવાનો, ન્યાયિક પ્રણાલી પરનું ભારણ ઘટાડીને પેનલ્ટી પર આધારિત દંડ વ્યવસ્થા લાવવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ. વધુ સુદ્રઢ થશે અને નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના બિનજરૂરી ડર વિના પોતાના ઉદ્યોગ-ધંધાઓનો વધુ સારી રીતે વિકાસ કરીને રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને સંગીન બનાવશે. મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્ય સ્તરના જન-વિશ્વાસ કાયદાઓ પસાર કરનારા અન્ય રાજ્યો કરતા ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનગૃહ સમક્ષ ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025ના ફાયદાઓ અંગે જણાવતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 રાજ્યમાં વિકાસ અને રોકાણને વધુ મજબૂત કરવા સાથે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને પણ વેગ આપશે. આ વિધેયકમાં નાના ઉલ્લંઘનો અને નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને ડિક્રિમિનલાઈઝ્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દંડાત્મક પગલાંઓને બદલે સુધારાત્મક પગલાંઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ સાથે નિયમનકારી સુધારા યાત્રાનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન બનશે અને ગુજરાતની દેશના વિકાસના રોલ મોડલ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક સ્તરે ઉજાગર કરશે. આ વિધેયક પર સભાપક્ષ અને પ્રતિપક્ષના સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ આ ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 બહુમતીએ પસાર કરવામાં આવ્યું હતું.