* વિસાવદર અને કડીની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા બેઠક દીઠ ચાર પ્રભારીની નિમણૂક.
* વિસાવદર માટે પરેશભાઈ ધાનાણી, પુજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, વશરામભાઈ સાગઠીયાની પ્રભારી તરીકે નિમણૂક * કડી માટે ગેનીબેન ઠાકોર, કિરીટભાઈ પટેલ, જીગ્નેશભાઇ મેવાણી, રઘુભાઈ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂક * કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણી લડશે અને અમે જીતવાના છીએ અને જીતવા માટે જ લડવાના છીએ : શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે આગામી ૧૯ જૂને ગુજરાતી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તેનું કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. ખેડૂતો અને લોકહિતના પ્રશ્નો માટે જ્યાંરે ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડી રહ્યા છે. ગરીબ દલિત આદિવાસી અને બક્ષીપંચના હક અધિકારની લડાઈ લડતો એકમાત્ર પક્ષ કોંગ્રેસ છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે અધિકૃત જાહેરાત થયા પહેલા પણ કોંગ્રેસ પક્ષ અને તેના સંગઠને ચૂંટણીની તૈયારીઓ આદરી દીધેલ છે. આજે જ્યારે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત જાહેરાત થયેલ છે ત્યારે બંને વિધાનસભા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચાર ચાર પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. વિસાવદર બેઠક માટે પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, વશરામ સાગઠીયા અને કડી બેઠક માટે લોકસભા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવેલ છે.. ઉપરોક્ત પ્રભારીઓ અગાઉ પણ વિધાનસભા વિસ્તારમાં સંગઠન સાથે સંપર્કમાં હતા. આગામી બે દિવસોમાં પ્રભારીઓ પેટા ચૂંટણી વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કરીને સેન્સ લેશે, તેમની સાથે ગુજરાતના પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને સૌ મોવડી મંડળ ચર્ચા વિચારણા કરીને મજબૂત લોક સંપર્ક ધરાવતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ભાજપના શાસનમાં જે પ્રમાણે ગુજરાતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. તાજેતરમાં ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના સંપૂર્ણ ભ્રષ્ટાચારને કોંગ્રેસે ઉજાગર કર્યો હતો અને સરકારને ના છૂટકે પોલીસ ફરિયાદ કરવા મજબૂર કરી હતી. ભારતીય જનતા પક્ષના શાસનમાં ગરીબો શોષિતો અને વંચિતો નો અવાજ રુંધાઈ ગયો હોય. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય, મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા પર હોય ત્યારે ઉપરોક્ત પ્રશ્નોને ઉજાગર કરીને કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણી લડશે અને અમે જીતવાના છીએ અને જીતવા માટે જ લડવાના છીએ. આ તબક્કે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે તમારા પ્રશ્નોને વાચા આપવા માટે અમને ખાસ આશીર્વાદ આપે.






