Ahmedabad News: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અથવા સપ્લાયમાં વિક્ષેપની અફવાઓ વચ્ચે રાજ્યભરના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
લોકોમાં અરાજકતાનો માહોલ
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, "આજે સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપો પર કિલોમીટરો લાંબી લાઈનો લાગી રહી છે. સામાન્ય જનતામાં એક પ્રકારનો ડર અને અરાજકતાની સ્થિતિ પેદા થઈ છે. લોકો એ સમજી શકતા નથી કે આ સ્થિતિ ટૂંકા ગાળાની છે કે કોઈ મોટું સંકટ આવવાનું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સવારથી જ તેમના પર અનેક નાગરિકોના ફોન આવી રહ્યા છે, જેઓ ઈંધણ ન મળવાને કારણે પરેશાન છે. સ્કૂલ બસો, એમ્બ્યુલન્સ અને રોજબરોજ કમાઈને ખાતા રિક્ષાચાલકો આ સ્થિતિથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
સરકારની મૌન ભૂમિકા પર સવાલ
ઇમરાન ખેડાવાલાએ રાજ્ય સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે આખા રાજ્યની જનતા રસ્તા પર પરેશાન થઈ રહી છે, ત્યારે સરકાર કેમ મૌન સેવી રહી છે? તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક મીડિયા સમક્ષ આવીને આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરવી જોઈએ. જો સપ્લાયમાં કોઈ સમસ્યા નથી, તો આ લાઈનો કેમ છે? અને જો સમસ્યા છે, તો તેના ઉકેલ માટે સરકાર શું કરી રહી છે તે જણાવવું જરૂરી છે."
અફવાઓ રોકવા માટે સ્પષ્ટતા અનિવાર્ય
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અફવાઓને કારણે લોકોમાં પેનિક બાઈંગ (ગભરાટમાં ખરીદી) વધી રહી છે. ધારાસભ્યના મતે જો સરકાર સમયસર નિવેદન નહીં આપે, તો સ્થિતિ વધુ વણસી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ પ્રહારો બાદ રાજ્યનું વહીવટીતંત્ર જનતાને આશ્વાસન આપવા માટે શું પગલાં ભરે છે.





