ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ભારે ગણી શકાય છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલાંના આ કેટલાક "પાવરદાર" મંત્રીઓ માટે કદાચ પાવરનો છેલ્લો દિવસ બની શકે છે. ભલભલાને મિનિસ્ટર ખુરશી જવાની ચિંતામાં રાતે ઊંઘ પણ નહી આવી હોય, આજે તેમના માટે ચિંતાનો મોટો દિવસ ગણી શકાય તેમ છે.
મોટા ફેરફાર થવાની સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ, આજ સાંજ સુધીમાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. ઘણા ચાલુ મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, તો બીજી બાજુ યુવા ધારાસભ્યો અને નવા સંભવિત મંત્રીઓએ નવા કપડાના ઓર્ડર પણ આપી દીધાની ચર્ચા ચાલી રહી છે! દરેકના ફોનની રિંગ હવે આગલા પગલાની આશા કે ભય લઈને વાગી રહી છે.
સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ગેરહાજરી
રાજ્યના સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની છે. ઘણા મંત્રીઓ પોતાની હાજરી ટાળીને "સેફ સાઇડ" પર રહેવા ઈચ્છે છે. એ પણ ચર્ચાઈ રહ્યું છે કે નવું મંત્રીમંડળ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથ લઈ શકે છે.
કેટલાક મંત્રીઓના રાજીનામા પડવાની શક્યતા
આજે સાંજના 5 વાગ્યા પછી, રાજકારણમાં મોટો ધડાકો થઇ શકે છે. કેટલાક મંત્રીઓના રાજીનામા પડવાની શક્યતા પણ છે. ઘણા વર્તમાન મંત્રીઓ માટે આજે તેમનાં પેન ધ્રૂજતી દેખાઈ શકે છે, કેમ કે હજુ સુધી કોના પત્તા કપાશે અને કોને ફરી તક મળશે તે સ્પષ્ટ નથી.
યુવા ધારાસભ્યોમાં ઉત્સાહ
આ દરમિયાન, નવા ચહેરાઓ અને યુવા ધારાસભ્યોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ છે. તેમને આશા છે કે પાર્ટી તેમને જવાબદારી આપશે અને તેઓ નવા ગુજરાતના નિર્માણમાં ભાગીદારી નિભાવી શકશે. આજે આખો દિવસ ગુજરાતના રાજકારણમાં હોબાળો રહેશે અને મંત્રીમંડળના આ ફેરફાર રાજકીય સમીકરણો માટે નવો દોર ચાલું રહેશે.






