Gujarat Local Body Election Results Live Updates : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થતા આજે પ્રદેશ ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ', કોબા, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે 'વિજયોત્સવ' મનાવવામાં આવ્યો હતો. જનતા જનાર્દને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપાની વિકાસની રાજનીતિ પર અતૂટ વિશ્વાસ મૂકીને જે પ્રચંડ જનાદેશ આપ્યો છે, તેને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદેશ કાર્યલાય પર પધાર્યા હતાં. ઢોલ-નગારાના નાદ, વંદે માતરમ્ અને ભારતમાતા કી જય ના જયઘોષ સાથે કેસરીયા માહોલ વચ્ચે કાર્યકરોએ આ વિજયને વધાવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – 2026માં ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દનનું પ્રચંડ જનસમર્થન મળ્યું છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ પ્રદેશ ભાજપા કાર્યાલય, ‘શ્રી કમલમ‘ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેઓએ પરસ્પર મોં મીઠું કરાવીને આ ભવ્ય વિજયની શુભકાનાઓનું આદાન પ્રદાન કર્યું હતું.
પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવી ભાજપાને આ પ્રચંડ વિજય અપાવ્યો છે. ગુજરાતની જનતાએ મતાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ગુજરાત ક્યારેય નકારાત્મકતાને સ્વીકારતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મજબૂત ટીમવર્ક અને પ્રથમ દિવસથી કરવામાં આવેલા વ્યાપક પ્રવાસોનું આ પરિણામ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, તેને વધુ મજબૂત કરવા અમે સહિયારા પ્રયાસોથી રાજ્યનlની વિકાસયાત્રાને આગળ ધપાવીશું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની સાડા છ કરોડ જનતાને નતમસ્તક થઈ વંદન કરતા જણાવ્યું કે, જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને છેલ્લા 30 વર્ષથી વિકાસની રાજનીતિ પર જે ભરોસો મૂક્યો છે તે આજે પણ યથાવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે અને ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ગુજરાતને બદનામ કરવાના વારંવાર પ્રયાસો થયા, છતાં જનતાનો ભાજપા પ્રત્યેનો વિશ્વાસ ડગ્યો નથી. માત્ર ચૂંટણી સમયે દેખાતા લોકો માટે હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. આ વિજય વિકાસ, વિશ્વાસ, વિઝનનો વિજય છે, બૂથ સ્તરના કાર્યકર્તાઓના સમર્પણનો વિજય છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિનો વિજય ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાતના ખૂણેખૂણે આજે ‘કમળ’ ખીલ્યું છે. સંઘવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોના ખેડૂતો અને ગરીબોના હિતના કરોડો રૂપિયા વાપરીને જે રીતે ગુજરાત અને તેના નાગરિકોને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું, તેનો જવાબ જનતાએ આપી દીધો છે. આજે જનતાએ પુરવાર કર્યું છે ગુજરાતની જનતા અને ભાજપા વિશ્વનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. તેમણે કોરોના, પૂર અને અતિવૃષ્ટિ જેવી કપરી પરિસ્થિતિમાં ખડેપગે સેવા આપનારા લાખો કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.





