Home Gujarat Gujarat Latest News Live Updates 8 July 2026

LiveGujarat Latest News Today : જાણો 8 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2026, 04:34 AM IST

Gujarat News Live Updates 8 July 2026: આજે 8 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
48 મિનિટ પહેલા8 જુલાઈ 2026

18 ઈંચથી વધુ વરસેલા વરસાદે સુરત શહેરની હાલત બગાડી, સિઝનનો કુલ વરસાદ ૩૦ ઈંચે પહોંચ્યો

સુરત: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ૬ જુલાઈએ બપોરથી શરૂ થયેલા મેઘતાંડવમાં પ્રથમ દિવસે ૫ ઈંચ વરસાદ નોંધાયા બાદ, ૭ જુલાઈએ સવારથી ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં સાંજ સુધીમાં વધુ ૧૩ ઈંચ વરસાદ ખાબકતાં સુરતની હાલત કફોડી બની ગઈ છે. શહેરના કેટલાક ઝોનમાં તો માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં ૫ થી ૯ ઈંચ જેટલો અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. આ ધબધબાટીને પગલે ૭ જુલાઈએ સવારે ૬ વાગ્યા સુધીમાં જ કુલ ૧૭ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, જ્યારે દિવસભરના વધુ ૧૩ ઈંચ સાથે સુરતમાં ચાલુ સિઝનનો કુલ વરસાદ ૩૦ ઈંચના આંકડાને પાર કરી ગયો છે. સતત વરસેલા ૧૮ ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર ડાયમંડ સિટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

50 મિનિટ પહેલા8 જુલાઈ 2026

હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન: આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીને 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર'

અમદાવાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતની ૫૫૦ વર્ષ જૂની અને સમૃદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની સંગીત નાટક અકાદમી દ્વારા અમદાવાદના કાલુપુર (દોષીવાડાની પોળ) સ્થિત ગોસ્વામી હવેલીની ૧૬મી પેઢીના વિદ્વાન આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામીની 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫' માટે પસંદગી કરવામાં આવી છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત આ પરંપરામાં દિવસના પ્રહરો અને ઋતુઓ આધારિત રાગોમાં સેવા-કીર્તનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રીય જ્ઞાન સાથે સંગીતમાં એમ.ફિલ. કરી હાલ પીએચ.ડી. કરી રહેલા આચાર્ય રણછોડલાલજીએ આ સન્માનને વ્યક્તિગત સિદ્ધિને બદલે સમગ્ર હવેલી સંગીત પરંપરા, ભારતની ભક્તિ અને સંસ્કૃતિનું બહુમાન ગણાવ્યું છે.

51 મિનિટ પહેલા8 જુલાઈ 2026

દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી 'STATCOM' ટેકનોલોજી કાર્યરત: વોલ્ટેજ અને ટ્રીપિંગની સમસ્યાનો આવશે અંત

ગીર-સોમનાથ: દેશના ઊર્જા ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગીર-સોમનાથ જિલ્લાના ટીમડી ૨૨૦ કેવી (kV) સબસ્ટેશન ખાતે દેશની સૌપ્રથમ અદ્યતન 'STATCOM' પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. જેટકો (GETCO) દ્વારા સ્થાપિત આ સ્માર્ટ પાવર ગ્રીડ સિસ્ટમ ગ્રીડમાં થતા વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલીસેકન્ડમાં નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ક્રાંતિકારી ટેકનોલોજીના કારણે લો-વોલ્ટેજ અને પાવર ટ્રીપિંગની વર્ષો જૂની સમસ્યા જડમૂળથી નાબૂદ થશે. પરિણામે ખેડૂતો અને ઉદ્યોગોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે, જેથી તેઓ કરોડો રૂપિયાના આર્થિક નુકસાનથી બચી શકશે. ગીર-સોમનાથમાં મળેલી આ પ્રચંડ સફળતા બાદ, ગ્રીડ પાવરને વધુ મજબૂત કરવા માટે આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી આગામી સમયમાં રાજ્યના અન્ય સાત મહત્વના સ્થળો પર પણ સ્થાપિત કરવામાં આવશે.

52 મિનિટ પહેલા8 જુલાઈ 2026

નવસારીમાં પૂરનો પ્રકોપ યથાવત: શહેરના ૧૫ વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ, ૨ હજારથી વધુ લોકોનું સ્થળાંતર

નવસારી: નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને સ્થાનિક ત્રણ નદીઓમાં આવેલા પૂરના કારણે સ્થિતિ અત્યંત વિકટ બની છે. નદીઓની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતાં પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી. નવસારી શહેરના આશરે ૧૫ જેટલા નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી પાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે સતત રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.

53 મિનિટ પહેલા8 જુલાઈ 2026

તાપી જિલ્લામાં મેઘતાંડવ: ૩૮ આંતરિક રસ્તા પાણીમાં ગરકાવ, વ્યારા, ડોલવણ અને વાલોડના અનેક ગામો સંપર્કવિહોણા

વ્યારા: તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના કુલ ૩૮ જેટલા આંતરિક રસ્તાઓ અને નીચાણવાળા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ પૂર જેવી સ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. સત્તાવાર વિગતો મુજબ, વાલોડ તાલુકાના સૌથી વધુ ૧૫ ગામો, ડોલવણના ૧૨ ગામો અને વ્યારા તાલુકાના ૯ ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ ઉપરાંત, સોનગઢ તાલુકાના પણ ૨ મુખ્ય આંતરિક રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યાં છે. અનેક માર્ગો બંધ થઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા કડક સૂચના આપવામાં આવી છે.

58 મિનિટ પહેલા8 જુલાઈ 2026

ગુજરાત પોલીસ દળ વધુ મજબૂત બનશે: ગાંધીનગરમાં આજે ૪૪૯ નવનિયુક્ત બિન હથિયારી PSIને અપાશે નિમણૂંક પત્રો

ગાંધીનગર: ગુજરાતની સુરક્ષા અને શાંતિ જાળવવામાં પોલીસ દળની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે, ત્યારે રાજ્યના પોલીસ બેડામાં વધુ એક મોટો ઉમેરો થવા જઈ રહ્યો છે. આજે પાટનગર ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમમાં ૪૪૯ નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરો (PSI) ને સત્તાવાર રીતે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. આધુનિક સમયના ગુનાઓ સામે લડવા માટે આપણું પોલીસ દળ અત્યારે 'SMART' ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે, જે ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત રાખવા માટે હંમેશા કટિબદ્ધ છે. આ મહત્વપૂર્ણ અવસરે પારદર્શક પ્રક્રિયા દ્વારા પસંદગી પામેલા રાજ્યના સૌ તેજસ્વી અને ઉત્સાહી યુવા ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

04:14 AM8 જુલાઈ 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: નવસારી-ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ', અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ચેતવણી

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાને જોતાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. વરસાદ દરમિયાન ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

04:13 AM8 જુલાઈ 2026

મહુવામાં દીપડાનો આતંક યથાવત: બાંભણિયા ગામમાં ૧૦ વર્ષના બાળકનું વન્યજીવના હુમલામાં મોત, સ્થાનિકોમાં ભારે રોષ

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં દીપડાએ એક ૧૦ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ કાળજું કંપાવનારી ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મહુવા વિસ્તારમાં છેલ્લા બે જ મહિનામાં વન્ય પ્રાણી દ્વારા હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે. આ અગાઉ પણ દીપડાએ હુમલો કરીને એક પાંચ વર્ષની માસૂમ બાળકી અને અન્ય એક વ્યક્તિનો જીવ લીધો હતો. ટૂંકા ગાળામાં ત્રીજી વ્યક્તિનું મોત થતાં વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે, તેમજ દીપડાને પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે.

04:08 AM8 જુલાઈ 2026

નર્મદાના સરદાર સરોવર ડેમ ૬૫% ભરાયો, ઉપરવાસની આવક વધતાં નવાનીર; જિલ્લામાં પોણા ચાર ઈંચ સુધી વરસાદ

રાજપીપળા: નર્મદા જિલ્લા સહિત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે ડેમમાં હાલ ૩૩,૬૨૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના લીધે ડેમની સપાટી ૧૨૬.૭૪ મીટરે પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં સપાટીમાં ૧૫ સેમીનો વધારો નોંધાયો છે અને ડેમ હાલ ૬૫ ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. પાણીની સારી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસ (RBPH) ના ૨ પાવર હાઉસ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લામાં પણ સરેરાશ ૪૭ મીમી વરસાદ સાથે મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા અને ચીકદા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૯૧ મીમી (પોણા ચાર ઈંચ) વરસાદ પડતાં રાજપીપળા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ડેડીયાપાડામાં ૮૭ મીમી (સાડા ત્રણ ઈંચ), ચીકદામાં ૫૯ મીમી (૨ ઈંચ), તિલકવાડામાં ૨૨ મીમી (૧ ઈંચ), સાગબારામાં ૧૪ મીમી અને ગરુડેશ્વરમાં ૦૯ મીમી વરસાદ નોંધાયો છે.

04:07 AM8 જુલાઈ 2026

અરવલ્લી જિલ્લામાં મેઘમહેર: ધનસુરામાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ, મોડાસા-બાયડ-મેઘરજમાં બે-બે ઈંચ વરસાદ

મોડાસા: અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં ૭૨ મીમી (આશરે પોણા ત્રણ ઈંચ) નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ ખાબક્યો છે, જેમાં મોડાસામાં ૫૯ મીમી, બાયડમાં ૫૭ મીમી અને મેઘરજમાં ૫૫ મીમી સાથે બે ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે માલપુરમાં ૪૬ મીમી (પોણા બે ઈંચ), શામળાજીમાં ૩૩ મીમી (સવા ઈંચ) તેમજ ભિલોડા અને સાઠંબામાં એક-એક ઈંચ (૨૮ મીમી) વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

04:06 AM8 જુલાઈ 2026

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: પ્રાંતિજમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ, પોશીના કોરુંધાકોર

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. ડિઝાસ્ટર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, જિલ્લામાં સૌથી વધુ વરસાદ પ્રાંતિજ તાલુકામાં ૭૩ મીમી (આશરે પોણા ત્રણ ઈંચ) નોંધાયો છે. જ્યારે જિલ્લા મથક હિંમતનગરમાં ૫૫ મીમી અને તલોદમાં ૫૪ મીમી સાથે બે ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓની વાત કરીએ તો વિજયનગરમાં ૦૯ મીમી, ઈડરમાં ૦૯ મીમી, વડાલીમાં ૦૮ મીમી અને ખેડબ્રહ્મામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પોશીના તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ મીમી વરસાદ નોંધાયો નથી અને ત્યાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

03:39 AM8 જુલાઈ 2026

18 ઈંચ વરસાદથી સુરત પાણી-પાણી: 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૯ના મોત, શાળા-કોલેજો અને કાપડ માર્કેટ બંધ

સુરત: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાં બે દિવસમાં ખાબકેલા ૧૮ ઈંચ વરસાદે ભારે તબાહી મચાવી છે. જુલાઈ ૧૯૪૧નો ૮૫ વર્ષ જૂનો વરસાદી રેકોર્ડ તોડીને આ વખતે સરથાણામાં ૧૯ અને વરાછામાં ૧૮.૧૬ ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરની પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થતાં ઝૂંપડપટ્ટીથી લઈને પોશ વિસ્તારો સુધી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ આકાશી આફતમાં વીજકરંટ, ઝાડ અને વીજળી પડવાથી ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરવો પડ્યો હતો. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. સાવચેતીના ભાગરૂપે આજે તમામ શાળા-કોલેજો અને કાપડ માર્કેટો બંધ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now