Gujarat Class 1 Admission Rules: ગુજરાતમાં ધોરણ-1માં બાળકોના પ્રવેશને લઈને દર વર્ષે હજારો વાલીઓને ખાનગી અને કેટલીક સરકારી શાળાઓમાં વિવિધ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની ફરજ પડતી હતી. ખાસ કરીને બાલવાટિકા અથવા પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ ફરજિયાત હોવાનું કહી અનેક શાળાઓ વાલીઓને હેરાન કરતી હોવાની ફરિયાદો સામે આવતી હતી. હવે રાજ્યના શિક્ષણ વિભાગે આ મુદ્દે મોટો અને સ્પષ્ટ નિર્ણય જાહેર કરીને વાલીઓને મોટી રાહત આપી છે. ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ જાહેર કરેલા નવા આદેશ મુજબ હવે રાજ્યની કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ અથવા ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક શાળા ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવી શકશે નહીં. બાળકના જન્મના પ્રમાણપત્ર અથવા વયના અન્ય માન્ય પુરાવાના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ શાળા આ નિયમનો ભંગ કરશે તો તેની સામે શિક્ષણનો અધિકાર કાયદા (RTE Act) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
RTE એક્ટ હેઠળ માત્ર ઉંમરનો પુરાવો જ રહેશે માન્ય
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-2009 (RTE Act)ની કલમ-14 મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિર્ધારિત વય જ મહત્વપૂર્ણ રહેશે. જન્મ-મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ, 1969 હેઠળ જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર અથવા બાળકની ઉંમર સાબિત કરતો અન્ય કોઈ માન્ય દસ્તાવેજ પ્રવેશ માટે પૂરતો ગણાશે. કોઈપણ શાળા આ ઉપરાંત પ્રી-સ્કૂલ અથવા બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવી શકશે નહીં.
સર્ટિફિકેટના અભાવે પ્રવેશ નકારવો ગેરકાયદેસર
શિક્ષણ વિભાગના નવા પરિપત્રમાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, જો કોઈ કારણસર બાળક પાસે ઉંમર સંબંધિત દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય, તો પણ માત્ર તેના આધારે શાળા પ્રવેશ નકારી શકશે નહીં. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, બાળકને શિક્ષણથી વંચિત રાખવાનો કોઈપણ પ્રયાસ RTE કાયદાની ભાવનાની વિરુદ્ધ ગણાશે.
સરકારી અને ખાનગી તમામ શાળાઓને કડક સૂચના
નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓને આ નિયમનું ફરજિયાત પાલન કરવા માટે સૂચના આપી છે. જો કોઈ શાળા હજુ પણ બાલવાટિકા અથવા પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ માંગીને પ્રવેશ અટકાવશે અથવા વાલીઓને હેરાન કરશે તો તે RTE Actની કલમ-14નો સીધો ભંગ ગણાશે. આવી શાળાઓ સામે વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
DEO અને DPEOને અમલ માટે ખાસ આદેશ
શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (DPEO) અને શાસનાધિકારીઓને આ નવા નિયમનો કડક અમલ કરાવવા માટે ખાસ સૂચનાઓ આપી છે. તેમને તેમના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓને તાત્કાલિક આ અંગે જાણ કરવા અને નિયમોનું પાલન થાય તેની દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
વાલીઓને મળશે મોટી રાહત
આ નિર્ણયથી ખાસ કરીને એવા વાલીઓને મોટી રાહત મળશે, જેઓના બાળકો કોઈ પ્રી-સ્કૂલમાં ભણ્યા નથી અથવા જેમને પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનેક ખાનગી શાળાઓ દ્વારા પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના નામે વધારાની શરતો મૂકવામાં આવતી હતી, જેના કારણે વાલીઓને અનાવશ્યક દોડધામ અને માનસિક તણાવનો સામનો કરવો પડતો હતો. હવે શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશ બાદ આવી પ્રથાઓ પર રોક લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પેપર લીક બિલ પર આજે લોકસભામાં 8 કલાકની મહાચર્ચા : રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષ સરકારને ઘેરશે
શું કહે છે નવો નિયમ?
નવા નિયમ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિર્ધારિત ઉંમર અને જન્મ પ્રમાણપત્ર અથવા અન્ય માન્ય વયના પુરાવાને જ આધાર માનવામાં આવશે. પ્રી-સ્કૂલ કે બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં હોય. શિક્ષણ વિભાગે વાલીઓને પણ અપીલ કરી છે કે જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ વધારાના સર્ટિફિકેટની માંગણી કરે અથવા પ્રવેશ આપવા ઇનકાર કરે તો તેની ફરિયાદ સંબંધિત DEO અથવા DPEO કચેરીમાં કરી શકાય છે.





