NEET બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાને લઈને વિવાદમાં આવી છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલાં જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાના આક્ષેપથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીએ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે.
અંજારમાં વિદેશી દારૂ પર પોલીસનો મોટો દરોડો : ભુવડ સીમમાંથી 2.65 લાખનો જથ્થો જપ્ત, એક આરોપી ઝડપાયો
દેશભરમાં NEET સહિત વિવિધ પરીક્ષાઓમાં પેપરલીકના વિવાદો વચ્ચે હવે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. BAMSના તૃતીય વ્યાવસાયિક વર્ષના MS – શલ્ય તંત્ર-1 વિષયની 20 જુલાઈએ લેવાયેલી પરીક્ષા પહેલાં જ કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કુલ 12માંથી 11 મુદ્દાઓ પરીક્ષામાં પૂછાયા હોવાની ચર્ચાએ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે.
ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ.પી. ઝાલાના જણાવ્યા મુજબ, પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે મોબાઇલ મારફતે માહિતી મળી હતી કે પરીક્ષા પહેલાં કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર ફરતા હતા. માહિતી મળતાં જ કુલપતિ સાથે ચર્ચા કરીને સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ વાયરલ થયેલા મેસેજ, પ્રશ્નપત્ર અને અન્ય તમામ પાસાઓની તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.
યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો તપાસમાં કોઈ વ્યક્તિની સંડોવણી અથવા નિયમભંગ સામે આવશે તો યુનિવર્સિટીના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ યુનિવર્સિટી સાથે સંલગ્ન 20થી 25 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પૂર્વનિયોજિત કાર્યક્રમ મુજબ ચાલુ રાખવામાં આવી છે.
NEET બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપરલીકની આશંકાએ રાજ્યની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ પર છે. તપાસમાં શું હકીકત સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે, તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર મંડાયેલી છે.





