કોંગ્રેસની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીનાં કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે. જેમાં આજરોજ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જ્યારે પ્રિયંકા ગાંધીની ગેરહાજરીની ચર્ચાએ જોર પકડ્યું છે.
આજે સવારે 11 કલાકે બે દિવસીય અધિવેશનની શરૂઆત થતાની સાથે જ સોનિયા ગંધી અને રાહુલ ગાંધી અધિવેશનનાં સ્થળ પર આવી પહોંચ્યાં હતા. જ્યારે તેમનાં સ્વાગત માટે પાર્ટીનાં કાર્યકરો ફૂલહાર લઈને તેમનાં સ્વાગત માટે ઉભા રહેલા જોવા મળ્યાં હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરશે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. ત્યારે આ તમામ નેતાઓ બેઠક બાદ ગાંધી આશ્રમ જશે અને કીર્તિનમાં સામેલ થવાનાં છે.
પ્રિયંકા ગાંધીને મોટું પદ આપવાની ચર્ચાં-
આ રાષ્ટ્રીય અધિવેશન સાથે જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, ગઠબંધન તથા જનસંપર્કના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે 'ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ' ટેગલાઇન આપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી એક ઉચ્ચ સક્રિય ભૂમિકા સોંપાઈ શકે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમ રાખીને પ્રિયંકા ગાંધીને પક્ષમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. હાલમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ છે પરંતુ તેમને કોઈ રાજ્ય કે વિભાગની જવાબદારી સોંપાઈ નથી.
અધિવેશનને ન્યાય પથ નામ આપવામાં આવ્યું-
આજે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મલ્લિકા સારાભાઈ સહિતના કલાકારો ગરબા તથા આદિવાસી નૃત્ય સહિતની લોક કળાના કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તમામ મહેમાનો માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે, 'જે રીતે કોંગ્રેસે સ્વતંત્રતા મેળવવા માટે મહેનત કરી હતી, તે જ રીતે ગુજરાતમાં મહેનત કરીશું અને સત્તા હાંસલ કરીશું. અધિવેશનને ન્યાય પથ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ ન્યાયના માર્ગ પર ચાલશે અને જન સમર્થન મેળવશે.'






