Gujarat Aam Aadmi Party: આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પૂરી તાકાત સાથે ઝંપલાવવા તૈયાર છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે AAP નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત તમામ લગભગ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે રાજ્યને સાત ઝોનમાં વહેંચીને ઝોનલ ચૂંટણી સમિતિઓ રચવામાં આવી છે. 10થી 15 માર્ચ દરમિયાન 26 લોકસભા મતવિસ્તારોમાંથી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાયા હતા. હવે A, B અને C ગ્રેડના ઉમેદવારો અંગે ચર્ચા ચાલી રહી છે.
ત્રણ દિવસની મહત્વની પ્રક્રિયા
રાજ્ય ચૂંટણી સમિતિ આજથી (16 માર્ચ)થી 18 માર્ચ સુધી ત્રણ દિવસ વિવિધ ઝોનમાંથી મળેલા નામોની ચર્ચા કરશે. આ સ્ક્રીનીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સામાન્ય લોકોને પ્રાધાન્ય, પરિવારવાદને નહીં
ઇસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાના સાધતાં કહ્યું કે તેઓ ધારાસભ્યો કે રાજકારણીઓના પુત્રો-પરિવારજનોને જ ટિકિટ આપે છે, પરંતુ AAP સામાન્ય લોકો, સામાજિક કાર્યકરો અને યુવાનોને તક આપશે. પાર્ટી "બધા માટે ખુલ્લી" છે અને પિતા-પુત્રના રાજકારણને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે.
ઉમરેઠ પેટાચૂંટણી અંગે નિર્ણય
તાજેતરમાં ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી છે. તે અંગે રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે અને યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા, રાકેશ હિરપરા સહિત અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા.આ જાહેરાતથી ગુજરાતની સ્થાનિક રાજકારણમાં AAPની મજબૂત એન્ટ્રી થઈ રહી છે, જેમાં પાર્ટી સંપૂર્ણ તાકાત અને પારદર્શક પ્રક્રિયા સાથે આગળ વધી રહી છે.




















