Fake Fertiliser: કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં જણાવ્યું કે સરકારે કાળાબજાર, સંગ્રહખોરી અને નિમ્ન ગુણવત્તાવાળા (નકલી) ખાતરના વિતરણ સામે કડક કાર્યવાહી કરી છે. 1 એપ્રિલથી 28 નવેમ્બર 2025 સુધીના સમયગાળામાં કુલ 5,371 ખાતર કંપનીઓ અને વિતરકોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.
મંત્રીએ આ માહિતી ભાજપના રાજ્યસભા સાંસદ કિરણ ચૌધરીના પ્રશ્નના જવાબમાં આપી હતી. તેમણે કહ્યું કે આ કાર્યવાહી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 અને ખાતર નિયંત્રણ આદેશ હેઠળ કરવામાં આવી છે.
મુખ્ય આંકડા (1 એપ્રિલથી 28 નવેમ્બર 2025)
કાળાબજારના કેસોમાં: 5,058 કારણદર્શક (શો-કોઝ) નોટિસ, 442 FIR અને 3,732 લાઇસન્સ રદ.
સંગ્રહખોરીના કેસોમાં: 687 શો-કોઝ નોટિસ અને 202 લાઇસન્સ રદ.
નિમ્ન ગુણવત્તાવાળા ખાતરના કેસોમાં: 3,811 શો-કોઝ નોટિસ, 1,437 લાઇસન્સ રદ અને 65 FIR.
ડાયવર્ઝન (ખાતરનું ગેરકાયદેસર વાપર)ના કેસોમાં: 3,058 શો-કોઝ નોટિસ, 464 લાઇસન્સ રદ અને 96 FIR.
આ સમગ્ર સાત મહિનામાં કુલ 12,814 શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી, 5,835 લાઇસન્સ રદ થયા અને 649 FIR નોંધાઈ.
ખેડૂતોના હિતમાં વધુ પગલાં
નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પૂરતું ખાતર પૂરું પાડ્યું છે અને ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મોનિટરિંગ સિસ્ટમ દ્વારા તેનું રીઅલ-ટાઇમ નિરીક્ષણ થઈ રહ્યું છે. તેમણે રાજ્ય સરકારોને સંગ્રહખોરી અને અનિયમિતતાઓ સામે કાર્યવાહી કરવાનો આહ્વાન કર્યું. એક અન્ય મુદ્દે, જ્યાં ખેડૂતોને ખાતર સાથે વધારાના ઉત્પાદનો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે તેના પર નડ્ડાએ કહ્યું કે મંત્રાલય આ મુદ્દે વિતરકો અને કંપનીઓ સાથે ચર્ચા કરશે જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. આ કાર્યવાહી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર મળે અને કાળાબજાર-સંગ્રહખોરી રોકાય તેના માટે મહત્વપૂર્ણ પગલું છે.





















