8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના એકમો (CPSE) માં કામ કરતા કર્મચારીઓ માટે પગાર વધારાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં લોકસભામાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પગાર પંચ અને પગાર સંશોધન સમિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે.
CPSE કર્મચારીઓ માટે હાલ કોઈ નવી સમિતિ નહીં
લોકસભા સાંસદ લક્ષ્મીકાંત પપ્પુ નિષાદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, CPSE (Central Public Sector Enterprises) ના બિન-કાર્યકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે હાલ કોઈ અલગપગાર સુધારણા સમિતિ (PRC) બનાવવાનો પ્રસ્તાવ નથી.સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે શું 2027થી અમલી બનનારા પગાર સંશોધન માટે કોઈ સમિતિ બનશે? અને શું અલગ-અલગ કંપનીઓમાં પગાર અને ભથ્થાની અસમાનતા દૂર કરવામાં આવશે?
જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દરેક CPSEની નાણાકીય સ્થિતિ અને પ્રદર્શન અલગ-અલગ હોય છે, તેથી તેમના પગાર અને ભથ્થામાં તફાવત હોવો સ્વાભાવિક છે. સરકાર પારદર્શકતા માટે દિશાનિર્દેશો બહાર પાડે છે, પરંતુ કંપનીઓને આ બાબતે સ્વાયત્તતા પણ આપવામાં આવે છે.
આઠમું પગાર પંચ: શું છે હાલની સ્થિતિ?
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમાં પગાર પંચની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે. નોટિફિકેશન નવેમ્બર 2025 માં જાહેર કરવામાં આવ્યું છે.સમય મર્યાદાની ભલામણો માટે 18 મહિનાનો સમય અપાયો છે. મુખ્ય મથક નવી દિલ્હી (જ્યાં સંગઠનોના સૂચનો લેવામાં આવી રહ્યા છે). રિપોર્ટ આવ્યા બાદ 3 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. જોકે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ આઠમું પગાર પંચ લાગૂ થશે, ત્યારે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી એરિયર (બાકી લેણું) મળવાની શક્યતા છે.
એક તરફ જ્યાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચની તૈયારીઓ વેગ પકડી રહી છે, બીજી તરફ CPSE કર્મચારીઓએ હાલ નવી સમિતિ માટે રાહ જોવી પડશે. સરકાર અત્યારે કંપનીઓની આર્થિક ક્ષમતાના આધારે જ આગળ વધવાના મૂડમાં જણાય છે.




















