Two LNG cargoes headed to India, lng supply to india: હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) સિવાય ભારત હવે અન્ય માર્ગો દ્વારા પણ તેલ અને ગેસની આયાત કરી રહ્યું છે. બુધવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાચા તેલનો 75% હિસ્સો હવે હોર્મુઝ સિવાયના અલગ રસ્તાઓથી આવી રહ્યો છે.
દેશમાં LPGની અછત વચ્ચે સરકાર તરફથી એક મોટી માહિતી સામે આવી છે. ગેસની અછતની આશંકાઓ વચ્ચે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, નેચરલ ગેસ (LNG) ના બે મોટા કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કાચા તેલનો પુરવઠો સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું કે, "આજે ઉપલબ્ધ જથ્થો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સામાન્ય રીતે આવતા જથ્થા કરતા વધુ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) અલગ-અલગ દેશોમાંથી કાચા તેલના કાર્ગો મંગાવી રહી છે. અગાઉ આ પ્રમાણ 55% હતું, જે હવે વધીને 75% થઈ ગયું છે, જે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગોથી આવી રહ્યું છે."
બુકિંગમાં ઉતાવળ ન કરવી જોઈએ
દેશમાં LPG બુકિંગને લઈને મચેલી અફરાતફરી વચ્ચે અધિકારીએ સ્પષ્ટતા કરી કે, "ઘરેલું LPGની આપણી સામાન્ય ડિલિવરી પ્રક્રિયા માત્ર 2.5 દિવસની જ હોય છે. ગ્રાહકોએ સિલિન્ડર બુક કરવા માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી." સરકાર ઉર્જા પુરવઠા પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક સંકટ વચ્ચે ખાસ પગલાં ભરી રહી છે.
100% થી વધુ ક્ષમતા પર કાર્યરત રિફાઇનરીઓ
અધિકારીએ જણાવ્યું કે આપણી રિફાઇનરીઓ તેમની મહત્તમ ક્ષમતા પર કામ કરી રહી છે, કેટલીક તો 100% થી પણ વધુ ક્ષમતા પર ચાલી રહી છે. ગેસનો કુલ વપરાશ પ્રતિ દિવસ 189 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) છે, જેમાંથી 97.5 મિલિયન SCM ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે અને બાકીની આયાત કરવામાં આવે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે પ્રતિ દિવસ 47.4 મિલિયન SCM પુરવઠાને અસર થઈ છે.
LPG ઉત્પાદનમાં 25% નો ઉછાળો
પુરવઠો પૂરો કરવા માટે વૈકલ્પિક માર્ગોથી ખરીદી પ્રક્રિયા ચાલુ છે. ભારત પોતાની જરૂરિયાતનો 60% ભાગ આયાત કરે છે, જેમાંથી 90% આયાત હોર્મુઝના માર્ગે થાય છે. જોકે, સરકાર દ્વારા ઉત્પાદન વધારવા માટે લેવાયેલા પગલાં બાદ સ્થાનિક LPG ઉત્પાદનમાં 25% નો વધારો થયો છે, જે સ્થાનિક ગ્રાહકોને પૂરો પાડવામાં આવશે.
કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયાસો
અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં આજે ઘરેલું LPG ની કિંમત 913 રૂપિયા છે. જો સરકારનો હસ્તક્ષેપ ન હોત, તો આ કિંમતો ઘણી વધારે હોત. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે ભારતનો 30% ગેસ પુરવઠો ખોરવાયા પછી, તેલ મંત્રાલયે અનેક પગલાં લીધાં છે, જેના કારણે LPG ની કિંમતો સ્થિર રહી છે.



















