રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને નકલી દસ્તાવેજોનો મામલો સામે આવ્યો. જેમાં સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી તાલુકા પંચાયતના નકલી હુકમો આપવામાં આવ્યાનો કૌભાંડ સામે આવ્યો છે. અત્રે જણાવીએ કે, સર્વે નંબર 91ની પાંચ એકર જમીનમાં કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. તાલુકાના ત્રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરરાજી કરી નકલી સનદ વિતરણ કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી જે બાદ ત્રાકુડા ગામના તલાટી કમ મંત્રી, DDOનું નિવેદન સામે આવ્યું છે.
''અત્યાર સુધીમાં બે સર્વે નંબર બિન ખેતી થયા છે''
ગોંડલ ત્રાકુડા ગામના તલાટી કમ મંત્રી ભાવેશ ઉદેશીએ કહ્યું કે, '' ત્રાકુડા ગામનો સર્વે નંબર-91 વર્ષે 2008થી બિનખેતી થયેલ છે, જેનો હુકમ અમારી કચેરીથી મળી આવ્યો છે તેમજ ગામમાં અત્યાર સુધીમાં બે સર્વે નંબર બિન ખેતી થયા છે''. જો કે, આ મામલે ગોંડલ તાલુકા ત્રાકૂડા ગામ સરકારી જમીન બરોબર વેચવાનો મામલે અધિકારીએ તપાસનુ રટણ કર્યું છે .
એક કે બે દિવસમાં તપાસ ટીમ મોકલવામાં આવશે: TDO
આ તાલુકા વિકાસ અધિકારી મીલન ઉકાવાલાએ કહ્યું કે, ''બધા ડોક્યુમેન્ટ લઈને તપાસ કરવામાં આવી રહી છે, તપાસ માટે એક ટીમ મોકલવામાં આવશે ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે''.
કલેક્ટર ડો. ઓમ પ્રકાશે શું કહ્યું?
આ સમગ્ર મામલે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે કહ્યું કે, ''ગોંડલમાં નકલી કચેરી પકડાઈ હોવાની વિગત સામે આવી હતી તે બિલકુલ ખોટી વાત છે, પૂર્વ તલાટી દ્વારા ખોટી રીતે દસ્તાવેજો બનાવવામાં આવેલા હતા. ત્રાકુડા ગામનો પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ કૃત્ય કર્યું છે, 44 પ્લોટ છે જેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા કોઈએ કલેક્ટર તંત્રનો સંપર્ક કર્યો નથી. આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે''
''...સંડોવણી હશે તો છોડવામાં આવશે નહીં''
ગોંડલ તાલુકા ઉપપ્રમુખ ચિરાગ ગોળએ કહ્યું કે, ''જાન્યુઆરી 2023માં લોકો પાસેથી રૂપિયા લઈને તલાટી કમ મંત્રીએ પ્લોટ ફાળવી દીધા હતા. મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ છે, અમારી તાલુકા પંચાયતનો કોઈ જ રેકોર્ડ નથી, તાલુકા પંચાયત ના અધિકારી કે પદાધિકારીઓની સંડોવણી હશે તો છોડવામાં આવશે નહીં, અમારી કચેરીના લેટરપેડ અને સિક્કાનો દૂર ઉપયોગ થયો છે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે''
''ડુપ્લીકેટોનો રાફડો ફાટ્યો''
ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી મુદ્દે AAP પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ''વધુ એક નકલી તાલુકા પંચાયત કચેરી મળી, ભાજપ સરકારને શરમ આવે છે? હવે જનતા સવાલ કરી રહી છે કે ભાજપના મંત્રીઓ અસલી છે કે નકલી? સમગ્ર ગુજરાતમાં કલેકટર, ઈડી, સીબીઆઇ, પીએમઓ, સીએમઓ, પોલીસ અને કચેરીઓના ડુપ્લીકેટોનો રાફડો ફાટ્યો છે''.




















