અમદાવાદના અમરાવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં એક ચિંતાજનક ઘટના બની છે. અહીં બ્લોક નંબર 12ની ગેલેરી અચાનક ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ગેલેરી તૂટી પડતાં અંદાજે 20થી 25 લોકો ઘરમાં ફસાઈ ગયા હતા, જેને કારણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવી પડી હતી.
8થી 10 જેટલા લોકોનું રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી અને બેથી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સીડી મૂકીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ 8થી 10 જેટલા લોકોને ફાયર બ્રિગેડે સીડીની મદદથી સલામત રીતે બહાર કાઢ્યા હતા, જ્યારે અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ચિંતા અને દહેશતનો માહોલ
હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જાણવા મળ્યું છે કે આ ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં લોકો રહેતા હોવાથી આ દુર્ઘટના બની છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિની માહિતી પ્રાપ્ત નથી, પરંતુ ઘટના બાદ વિસ્તારમાં ચિંતા અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.




















