ભારતમાં હાઈ સ્પીડ કાર અને રેસિંગના શોખીનો માટે ખુશખબર સામે આવી રહી છે. વિશ્વની સૌથી રોમાંચક રેસિંગ ઈવેન્ટ Formula One ફરી એકવાર ભારતના ટ્રેક પર પરત ફરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તાજેતરના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં ગંભીર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે ખુદ કેન્દ્રીય મંત્રીએ આ જવાબદારી સંભાળી હોવાથી ભારતમાં ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ યોજાય તેવી આશા જાગી છે.
કેન્દ્રીય રમતગમત મંત્રીએ લીધી બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની મુલાકાત
ભારતમાં ફોર્મ્યુલા વનને પરત લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ગ્રેટર નોઈડામાં સ્થિત બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. નોંધનીય છે કે આ ટ્રેકની માલિકી ધરાવનાર જેપી ગ્રુપ હવે નાદાર જાહેર થયા બાદ આ પરિસર હવે ઓથોરિટીના નિયંત્રણ હેઠળ છે. મંત્રીની આ મુલાકાતને આગામી સમયમાં મોટા આયોજનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
જાપાની પ્રતિનિધિમંડળની મુલાકાતથી અટકળો તેજ
કેન્દ્રીય મંત્રીની મુલાકાત પહેલા જાપાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે પણ આ ટ્રેકની સમીક્ષા કરી હતી. આ બંને મહત્ત્વની મુલાકાતો બાદ એવી સંભાવનાઓ વધી ગઈ છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારત ફરીથી વૈશ્વિક રેસિંગ કેલેન્ડરમાં સ્થાન મેળવી શકે છે. જો બધું યોજના મુજબ ચાલ્યું તો ભારતીય ચાહકોને ફરી એકવાર ઘરઆંગણે Formula Oneનો રોમાંચ માણવા મળશે.
ભારતમાં ફોર્મ્યુલા વનનો ઈતિહાસ
ભારતમાં પ્રથમ વખત વર્ષ 2011માં ફોર્મ્યુલા વન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સિલસિલો વર્ષ 2013 સુધી ચાલ્યો હતો. જોકે ત્યારબાદ ટેક્સ સંબંધિત વિવાદો અને વહીવટી કારણોસર ભારતમાં આ રેસ બંધ થઈ ગઈ હતી. જોકે તાજેતરમાં ભારતમાં Moto GPનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સાબિત થયું છે કે ભારત આવા મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ આયોજન માટે સક્ષમ છે.




















