SM Krishna Passed Away: પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાએ 10 ડિસેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગ્યે બેંગલુરુના સદાશિવનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. એસએમ કૃષ્ણાને તાજેતરમાં જ ઉંમર સંબંધિત બીમારીને કારણે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, બાદમાં તેમની તબિયત વધુ લથડી હતી.
જાણો એસએમ કૃષ્ણ વિશે
એસએમ કૃષ્ણાનો જન્મ 1 મે 1932ના રોજ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મદ્દુર તાલુકાના સોમનહલ્લી ગામમાં થયો હતો. તેમનું આખું નામ સોમનહલ્લી મલય કૃષ્ણ છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ હત્તુરમાં, માધ્યમિક શિક્ષણ શ્રી રામકૃષ્ણ વિદ્યાશાળા મૈસૂરમાંથી, સ્નાતક મૈસુરની મહારાજા કૉલેજમાંથી અને યુનિવર્સિટી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી. તેમણે ડલ્લાસ, ટેક્સાસ, યુએસની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી લો સ્કૂલમાંથી પણ સ્નાતક થયા.
કૃષ્ણાએ 1962માં અપક્ષ ઉમેદવાર તરીકે મદ્દૂર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને રાજનીતિ જીવનમાં પ્રવેશ કર્યો અને જીત મેળવી હતી. આ પછી તેઓ 'પ્રજા સમાજવાદી પાર્ટી'માં જોડાયા, પરંતુ 1967ની ચૂંટણીમાં તેઓ મદ્દુરથી કોંગ્રેસના એમએમ ગૌડા સામે હારી ગયા.
1968માં જ્યારે વર્તમાન સાંસદનું અવસાન થયું, ત્યારે તેમણે માંડ્યા લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1968ની પેટાચૂંટણી પછી તેઓ માંડ્યા મતવિસ્તારમાંથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા. તેઓ 1971 અને 1980માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના ગઢ માંડ્યાને બચાવવામાં એસએમ કૃષ્ણાની ભૂમિકા મહત્વની હતી.
2017માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
એસએમ કૃષ્ણા ડિસેમ્બર 2004માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા હતા. તેમણે 5 માર્ચ 2008ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા. તેઓ 22 મે 2009ના રોજ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં વિદેશ મંત્રી રહ્યા હતા. વર્ષ 2017માં તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.






