AMC Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને અંતિમઓપ અપાઈ રહ્યો છે. એવામાં અમદાવાદ મનપાની ચૂંટણીમાં અચાનક પાકિસ્તાનની એન્ટ્રી થતાં હડકંપ મચી ગયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે જે કહ્યું તે ખુબ ચર્ચાનો વિષય બની ગયો છે. જાણો શું છે સમગ્ર મામલો અને કેમ ભાજપના નેતા અચાનક આવ્યા છે આટલી ચર્ચામાં.
"ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ"
ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી કહ્યું છેકે, "શહેર આખામાં કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આખા શહેરમાં ખાડિયા અખંડ હતું અને રહેશે" ખાડિયા વોર્ડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જમાલપુર-ખાડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જાહેરમાં હુંકાર કરતા કહ્યું કે, ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરીઝમ શરૂ થઈ જાય છે. ચારધામની યાત્રા કરતાં વધારે મહત્વ અખંડ ખાડિયાને ખંડિત કરવામાં હોય છે, પરંતુ 1972થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીતતું આવ્યું છે, ત્યારે 2026ની ચૂંટણીમાં આપણે સૌ ભેગા મળીને સંકલ્પ કરીએ કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ.
મંચ પરથી સંબોધન કરતા વધુમાં ભૂષણ ભટ્ટે કહ્યુંકે, બે ચાર દિવસમાં એવા લોકો અહીં વોટ માંગવા આવશે, જેવા નામ એવા ચહેરા, પરંતુ ખાડિયા અખંડ છે અને તેમને કહી દેવાનું કે ભારત માતાકી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે ઓછા થયા પણ અમારી એકતા અખંડ છે. એમના મનસુબા અમે પુરા થવા નહીં દઈએ.
ખાડિયાના રાજકારણને સમજીએઃ
અમદાવાદની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ મતદારની સંખ્યા પણ સારા પ્રમાણમાં છે. બીજી તરફ સંઘના સમયથી ખાડિયાને હિન્દુત્ત્વનો ગઢ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીં પાકિસ્તાનનું નામ આવવું એ સ્વભાવિક છે. રાજકીય પંડિતોની માનીએ તો વર્ષોથી અહીં વિકાસનો મુદ્દો નથી ચાલતો, વર્ષોથી અહીં કોમવાદ, જૂથવાદ અને ભારત-પાકિસ્તાનની જ વાતો ચાલતી આવી છે. ચૂંટણી ટાણે સ્થાનિક રાજકારણીઓ પણ એવો જ રંગ ફેલાવીને પોતાના રાજકીય રોટલા શેકતા આવ્યાં છે.
ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસની ટિકિટ પરથી જીતનાર ઈમરાન ખેડાવાલા હાલ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય છે. અગાઉ તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને અહીંથી જીત્યા હતા. ત્યારે બાદ કોંગ્રેસે તેમને વિધાનસભામાં તક આપી અને તેમણે જીત હાંસલ કરી. આ પહેલાં આ જ બેઠક પરથી કમળના સહારે જીતીને ભૂષણ ભટ્ટ ભાજપના ધારાસભ્ય બન્યા હતા. ભાજપે જૂના જોગીઓને ટિકિટ આપવાની ના પાડી તો આ વખતે અમદાવાદ મનપાની ચૂંટણીમાં ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર માટે ભાજપ પાસે ટિકિટની માંગણી કરીને દાવેદારી નોંધાવી છે. આજે મળનારી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વોર્ડ દીઠ 12-12 નામોની પેનલમાંથી ફાઈનલ 4-4 નામો નક્કી કરવામાં આવશે.






