Vadodara Food Safety Drive: વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશ્નરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ગોહિલ ભાવસારના નેતૃત્વમાં ચાર ટીમો ગઠિત કરવામાં આવી હતી. આ ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં આકસ્મિક તપાસ કરીને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરી હતી.
48 ખાદ્ય એકમોની તપાસ, 16 એકમો સીલ
આ અભિયાન દરમિયાન ગેંડીગેટથી સ્વામીનારાયણ મંદિર રોડ, ગોત્રી-સેવાસી રોડ, કૂણાલ ચાર રસ્તા-ગોત્રી, સયાજીગંજ, તરસાલી નેશનલ હાઈવે નં. 8 અને હનુમાન ટેકરી વિસ્તાર સહિત કુલ 48 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી. આમાં 1 હોકર, 1 રિટેલર, 17 ફૂડ વેન્ડિંગ એસ્ટેબ્લિશમેન્ટ, 3 કેટરિંગ યુનિટ, 20 રેસ્ટોરન્ટ, 2 હોટલ, 3 ઉત્પાદન પેઢી અને 1 હોલસેલરનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ જોવા મળતા 16 એકમોને શેડ્યૂલ-4 હેઠળ નોટિસ આપીને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ખાદ્ય વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
126 કિલો અખાદ્ય પદાર્થો અને પ્લાસ્ટિકનો નાશ
ચેકિંગ દરમિયાન 126 કિલો અખાદ્ય અને અસ્વચ્છ પદાર્થો તથા 5 લીટર સીરપનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના 19 કિલો જથ્થાનો પણ નાશ કરાયો હતો. આ કાર્યવાહીથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને થતા જોખમને અટકાવવામાં મદદ મળી છે. ખાસ કરીને ગંદકી, ભેળસેળ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ જેવી ગંભીર બાબતો સામે આવી હતી.
1.46 લાખનો દંડ અને વિશેષ કાર્યવાહી
અનિયમિતતાઓ બદલ ફૂડ બિઝનેસ ઓપરેટરો પર કુલ રૂ. 1,46,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગેંડીગેટથી સ્વામીનારાયણ મંદિર રોડ પર આવેલા બિસ્મિલ્લા કેટરર્સ અને ગરીબનવાઝ કેટરર્સને સીલ કરવામાં આવ્યા. માં બ્રહ્માણી ખમણ હાઉસમાંથી ખમણ, ઈદડા સહિત 71 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી રૂ. 10,000નો દંડ વસૂલાયો. ગોત્રી સેવાસી રોડ પર રામદેવ પંજાબી ખાણાને સીલ કરાયું. એક રેસ્ટોરન્ટમાંથી 5 લીટર સીરપ અને બાવર્ચી કિચનમાંથી 10 કિલો ચટણીનો નાશ કરી રૂ. 5,000નો દંડ ફટકારાયો. તરસાલી નેશનલ હાઈવે પર નિર્મલ હોટલમાંથી 45 કિલો અખાદ્ય પદાર્થો મળતા હોટલ સીલ થઈ, જ્યારે રાજસ્થાની દાલબાટી એકમ પણ સીલ થયો. ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અખાદ્ય, અસ્વચ્છ અને ભેળસેળયુક્ત ખોરાક વેચતા એકમો સામે આવી કડક કાર્યવાહી આગળ પણ અટકાશે નહીં.




















