Sabarkatha News: સાબરકાંઠા જિલ્લાની શાન ગણાતા ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ડુંગર પર ફેલાયેલી આ આગને બુઝાવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે ૧૨ કલાકની લાંબી કામગીરી બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.
ઓપરેશન ઈડર ગઢ: મહત્વની વિગતો
આગની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.12 કલાકના સમયગાળામાં અંદાજે 27 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઠારવામાં આવી હતી. ઈડરના 3 અને હિંમતનગરનું 1 એમ કુલ 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના 20 કર્મચારીઓએ સતત 12 કલાક સુધી ખડેપગે રહીને ડુંગરના મુશ્કેલ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરી હતી.
વન્ય જીવો પર તોળાતું જોખમ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ડુંગર પર વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આ આગને કારણે ડુંગર પર વસવાટ કરતા વન્ય જીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે. આકાશી દ્રશ્યોમાં જોતા ડુંગર પર આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી ફેલાયેલી જોવા મળી હતી, જેણે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડ્યું છે.
તંત્રની ભૂમિકા અને વિવાદ
આ ઘટનામાં વન વિભાગની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ જ્યારે જાણ કરી ત્યારે ફાયરની ટીમ તો સમયસર પહોંચી ગઈ હતી, પરંતુ વન વિભાગે આ વિસ્તાર તેમના કાર્યક્ષેત્રમાં આવતો ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિવારક પગલાં લેવામાં આવતા નથી તેવો રોષ પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.




















