રાજકોટ શહેરમાં પેલેસ રોડ વિસ્તારમાં આવેલ વર્ધમાન નગર શેરી નંબર–7ના મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ આખા એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી અને રહેવાસીઓ ઘબરાઈને બહાર દોડી આવ્યા હતા.
મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફ્લેટમાં આગ ભભૂકી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ભારે મહેનત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં ફ્લેટમાં રહેતા માતા પ્રભાબેન પૂજારા અને તેમના પુત્ર નરેન્દ્રભાઈ પૂજારાનું દુઃખદ મોત નિપજ્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે બંનેને બચાવી શકાયા નહોતાં, જેના કારણે વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો હતો.
A ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની માહિતી મળતા જ એ ડિવિઝન પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના લોકોના નિવેદનો લઈ તપાસ શરૂ કરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અંકબંધ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત બહાર આવશે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને સ્થાનિકોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.




















