શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. એરલાઇનના જણાવ્યા અનુસાર એક મુસાફરે સ્પાઈસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા, જેના કારણે કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.
મુસાફરે સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક કર્યો હુમલો
સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક મુસાફર જે એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, કુલ 16 કિલો વજનના બે કેબિન સામાન લઈને જઈ રહ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં બમણાથી વધુ હતો. જ્યારે તેને વધારાના સામાન વિશે નમ્રતાપૂર્વક જાણ કરવામાં આવી અને લાગુ ફી ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં ઘુસી ગયો- જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. મળતી માહિતી અનુસાર આ મારામારી 26 જુલાઈ 2025ના દિવસે બની હતી.
સ્પાઈસ જેટે ઉડ્ડયન મંત્રાલયને કરી જાણ
CISFનો એક અધિકારીએ તેને ગેટ પર પાછો લઈ ગયો. ગેટ પર, મુસાફરનું વર્તન વધુ આક્રમક થઈ ગયું અને તેણે સ્પાઈસ જેટના ચાર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પર હુમલો કર્યો. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર આ મુસાફરને નો-ફ્લાઇ લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સ્પાઈસ જેટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને પોતાના કર્મચારી પર થયેલા હુમલાની જાણ કરી છે અને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.





















