દેશભરમાં વીજ વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સ્તરે નવા ટેરિફ માળખા પર વિચારણા ચાલી રહી છે. હાલના સમયમાં મોટાભાગના ગ્રાહકોનું વીજ બિલ તેમના વીજ વપરાશ પર આધારિત હોય છે, એટલે કે જેટલા વધુ યુનિટ વપરાય એટલું વધુ બિલ આવે છે. પરંતુ હવે વીજળીનો ઓછો ઉપયોગ કરનારાઓને પણ દર મહિને નક્કી કરેલી મોટી રકમ ચૂકવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ મુજબ, વીજ બિલમાં વસૂલાત થતા “ફિક્સ્ડ ચાર્જ” અથવા “સ્ટેન્ડિંગ ચાર્જ”ને તબક્કાવાર રીતે વધારવાની ભલામણ કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એ થાય છે કે ઘરમાં પંખા, એસી અથવા લાઇટનો ઓછો ઉપયોગ કરવાથી મળતી બચતનું પ્રમાણ ભવિષ્યમાં ઘટી શકે છે.
વીજ કંપનીઓને નુકસાન અટકાવવા માટે તૈયારી
રાજ્ય સરકારોની માલિકીની વીજ વિતરણ કંપનીઓ એટલે કે ડિસ્કોમ્સ (Discoms) લાંબા સમયથી વધતા ખર્ચ અને આવક વચ્ચેના તફાવતનો સામનો કરી રહી છે. હાલમાં વીજ કંપનીઓનો મોટાભાગનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલાતા પ્રતિ યુનિટ ચાર્જ દ્વારા આવરી લેવાય છે. પરંતુ ગ્રીડ જાળવણી, ટ્રાન્સમિશન લાઇન, કર્મચારીઓના પગાર અને વીજ ઉત્પાદન કંપનીઓને ચુકવણી જેવા ખર્ચ સ્થિર હોય છે અને વીજ વપરાશ ઘટે તો પણ ચાલુ રહે છે.
મીડિયા અહેવાલો મુજબ, CEAએ નોંધ્યું છે કે ડિસ્કોમ્સના કુલ ખર્ચમાં 38%થી 56% સુધીનો હિસ્સો ફિક્સ્ડ ખર્ચનો હોય છે. જોકે હાલની સિસ્ટમ હેઠળ તેઓ ફિક્સ્ડ ચાર્જ દ્વારા માત્ર 9%થી 20% સુધીની જ વસૂલાત કરી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે વીજળીની માંગ ઘટે છે ત્યારે વીજ કંપનીઓને સીધું નાણાકીય નુકસાન સહન કરવું પડે છે.
ખાસ કરીને સોલાર ઊર્જાના વધતા ઉપયોગ અને ઊર્જા બચત ઉપકરણોના કારણે ઘણા શહેરોમાં પ્રતિ ગ્રાહક વીજ વપરાશની પેટર્ન બદલાઈ રહી છે. જેના કારણે વીજ કંપનીઓ માટે જૂનું ટેરિફ મોડેલ લાંબા ગાળે ટકાઉ રહેશે કે નહીં તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: બેંક ખાતામાં આવી ગયા ભૂલથી રૂપિયા? : એક ભૂલ અને લાગી શકે છે 60 ટકા ટેક્સ અને પેનલ્ટીનો ઝટકો
સામાન્ય ગ્રાહકોના બિલ પર શું અસર પડશે?
CEA દ્વારા તૈયાર કરાયેલા રોડમેપ મુજબ, ઘરેલું અને કૃષિ ગ્રાહકો માટે વર્ષ 2030 સુધીમાં કુલ વીજ બિલના અંદાજે 25 ટકા હિસ્સો ફિક્સ્ડ ચાર્જ દ્વારા વસૂલવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એટલે કે ભલે ગ્રાહક વીજળીનો ઓછો ઉપયોગ કરે, તેમ છતાં દર મહિને એક નક્કી કરેલી રકમ ચૂકવવી ફરજિયાત બની શકે છે.
આજ સુધી ઘણા ગ્રાહકો માટે વીજળી બચાવવી એટલે સીધી બિલમાં બચત ગણાતી હતી. પરંતુ નવા મોડલ હેઠળ બિલનો એક મોટો ભાગ “નોન-વેરિયેબલ” બની જશે. એટલે કે વીજ વપરાશ ઓછો કરવાથી માત્ર પ્રતિ યુનિટ ચાર્જમાં જ ઘટાડો થશે, જ્યારે ફિક્સ્ડ ચાર્જ યથાવત રહેશે.
ખાસ કરીને મધ્યમવર્ગીય અને ઓછા વપરાશવાળા ગ્રાહકો માટે આ ફેરફાર વધુ અસરકારક બની શકે છે. કારણ કે તેઓ અત્યાર સુધી ઓછી વીજળી વાપરીને બિલ નિયંત્રણમાં રાખતા હતા.
ઉદ્યોગો અને વેપારીઓ માટે વધુ મોટો ફેરફાર
CEA ની ભલામણ મુજબ ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો માટે ફિક્સ્ડ ખર્ચની વસૂલાતને સીધા 100 ટકા સુધી લઈ જવાની ભલામણ કરવામાં આવી છે. એટલે કે ફેક્ટરીઓ, દુકાનો, ઓફિસો અને અન્ય કોમર્શિયલ એકમો માટે વીજળીના વપરાશ કરતાં કનેક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ચાર્જ વધુ મહત્વપૂર્ણ બની શકે છે.
સોલાર ગ્રાહકો માટે પણ અલગ બિલિંગ
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલુ સોલાર પેનલ અને નેટ-મીટરિંગ સિસ્ટમનો ઉપયોગ વધ્યો છે. આવા ગ્રાહકો માટે પણ અલગ બિલિંગ માળખું તૈયાર કરવાની ચર્ચા ચાલી રહી છે. એટલે કે પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવનારા ગ્રાહકોને પણ ઊંચા ફિક્સ્ડ ચાર્જ ચૂકવવા પડી શકે છે.
હજુ અંતિમ નિર્ણય બાકી
હાલ આ દરખાસ્ત સમીક્ષા અને મંજૂરી માટે “ફોરમ ઓફ રેગ્યુલેટર્સ” સમક્ષ રજૂ થવાની પ્રક્રિયામાં છે. ત્યારબાદ વિવિધ રાજ્ય વીજ નિયામક પંચો દ્વારા તેને અમલમાં મૂકવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
જો આ પ્રસ્તાવ હાલના સ્વરૂપમાં અમલમાં આવશે તો દેશભરના કરોડો વીજ ગ્રાહકો માટે બિલિંગ પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને “વીજળી બચાવો અને બિલ ઘટાડો” જેવી પરંપરાગત સમજણ હવે મર્યાદિત અસર ધરાવતી બની શકે છે.





