E20 Petrol: જો તમારી પાસે જૂની કાર કે ટુ-વ્હીલર છે, તો તમારી ગાડીની તબિયત અને માઈલેજ પર અસર પડી શકે છે. 1 એપ્રિલ 2026 થી દેશભરના પેટ્રોલ પંપ પર 20 ટકા ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ વેચવું ફરજિયાત બની ગયું છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવી, ખેડૂતોની આવક વધારવી અને પ્રદૂષણ ઘટાડવાનો છે. જોકે, આ ફેરફારની અસર ખાસ કરીને એવા લોકો પર પડશે જેમની પાસે 2023 પહેલાની જૂની ગાડીઓ છે. તો ચાલો જાણીએ કે જૂની ગાડીઓ પર E20 પેટ્રોલની શું અસર થશે અને તેના નુકસાનથી કેવી રીતે બચી શકાય?
શું છે E20 પેટ્રોલ?
E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. ઇથેનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ છે જે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણથી પેટ્રોલની ગુણવત્તા વધીને લગભગ 95 ટકા થઈ જાય છે, જેનાથી એન્જિન સ્મૂધ ચાલે છે અને નોકિંગની સમસ્યા ઓછી થાય છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2023 પછી બનેલી BS6 ફેઝ-2 ગાડીઓ E20 ફ્યુઅલ મુજબ જ ડિઝાઈન કરવામાં આવી છે, તેથી આ વાહનોમાં નવા પેટ્રોલથી કોઈ સમસ્યા થશે નહીં.
જૂની ગાડીઓ પર શું અસર પડશે?
2023 પહેલા બનેલી ગાડીઓમાં E20 પેટ્રોલની અસર થોડી અલગ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે જૂના વાહનોની માઈલેજમાં 3 થી 7 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. ઇથેનોલના કારણે જૂના રબરના પાર્ટ્સ અને ફ્યુઅલ પાઈપ જલ્દી ખરાબ થઈ શકે છે. ઇથેનોલ હવામાંથી ભેજ શોષી શકે છે, જેના કારણે ટાંકીમાં પાણી બનવાનું જોખમ રહે છે. આનાથી એન્જિન સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી અને કાટ લાગવાની શક્યતા વધી શકે છે. જોકે, ઓટોમોબાઈલ સંસ્થાઓ અનુસાર, E20 ના વપરાશથી હજુ સુધી કોઈ મોટા એન્જિન ફેલિયરના અહેવાલ મળ્યા નથી.
ભારત તેની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ઇથેનોલ મિશ્રણથી વિદેશી મુદ્રાની બચત થશે અને પર્યાવરણ માટે પણ તે વધુ સારું માનવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે અને કાર્બન ઉત્સર્જન ઘટે છે. આ ઉપરાંત, ઇથેનોલ ઉત્પાદનથી ખેડૂતોને સીધો ફાયદો મળે છે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને છે.
E20 પેટ્રોલના નુકસાનથી બચવાના સરળ રસ્તાઓ
જો તમારી ગાડી જૂની છે, તો કેટલીક સાવચેતી રાખીને તમે સંભવિત નુકસાન ઘટાડી શકો છો...
પાઈપ બદલાવો: જૂની રબરની પાઈપની જગ્યાએ E20 કમ્પેટીબલ (સુસંગત) પાઈપ નંખાવો.
ફ્યુઅલ સ્ટેબિલાઈઝર:ફ્યુઅલ સ્ટેબિલાઈઝરનો ઉપયોગ કરો, જે ટાંકીમાં ભેજ બનતો અટકાવે છે.
ફ્યુઅલ ફિલ્ટર: ફિલ્ટર સમય કરતાં થોડું વહેલું બદલો, જેથી ગંદકી એન્જિન સુધી ન પહોંચે.
ટાંકી ફૂલ રાખો: ગાડીની ટાંકી ખાલી ન રાખો; વધુ ખાલી ટાંકીમાં ભેજ બનવાની શક્યતા વધી જાય છે.
નિયમિત ડ્રાઈવિંગ: ગાડીને નિયમિત ચલાવવાનો પ્રયાસ કરો. લાંબા સમય સુધી ગાડી ઉભી રાખવાથી સમસ્યા વધી શકે છે.
એન્ટી-કોરોઝન ટ્રીટમેન્ટ: મેટલની ટાંકીમાં કાટ ન લાગે તે માટે એન્ટી-કોરોઝન ટ્રીટમેન્ટ કરાવો.





