DyCM Harsh Sanghvi : અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે તેમણે પોલીસ તંત્રને નાગરિક સેવા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
'DyCM ને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DySP ને કેમ નહી?'
DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 'દરેક પોલીસ સ્ટેશનમાં PI અને DySPને લોકો મળવાનો સમય સ્પષ્ટ રીતે દર્શાવતું બોર્ડ ફરજિયાત રીતે લગાવવું જોઈએ. જેથી નાગરિકોને ખબર રહે કે કયા અધિકારી કયા સમયે ઉપલબ્ધ રહેશે. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય તો તેના કારણનો ઉલ્લેખ પણ આ બોર્ડ પર કરવો જોઈએ, જેથી પારદર્શિતા જળવાઈ રહે'. વધુમાં કહ્યું કે, 'DyCM ને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DySP ને કેમ નહી?'
'પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે...'
હર્ષ સંઘવીએ ભારપૂર્વક કહ્યું કે, 'પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ભય ઊભો થાય, પરંતુ સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ, સન્માન અને સહાનુભૂતિપૂર્વક વર્તન થવું જોઈએ. તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ ગુનેગાર પોલીસને જોઈને ડરી જાય ત્યારે જ કાયદો સાચી રીતે કાર્યરત ગણાય છે, પરંતુ એ જ સમયે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સમજદાર ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે'.
'પોલીસ સ્ટેશન લોકો માટે વિશ્વાસનું કેન્દ્ર બનવું જોઈએ'
તેમણે વધુમાં ઉમેર્યું કે, 'પોલીસ સ્ટેશન લોકો માટે વિશ્વાસનું કેન્દ્ર બનવું જોઈએ. સામાન્ય નાગરિકોને લાગવું જોઈએ કે, પોલીસ તેમની સુરક્ષા અને સહાય માટે છે. આ દિશામાં અધિકારીઓ અને સ્ટાફે પોતાની કાર્યશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવો જરૂરી છે. નવા ખાખી ભવનના ઉદ્ઘાટન સાથે અમદાવાદ પોલીસને વધુ સુવિધાઓ અને આધુનિક માળખું મળ્યું છે, જેનાથી પોલીસ કામગીરી વધુ કાર્યક્ષમ અને જનમૈત્રી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે'.




















