Kochrab Ashram DJ Party : અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કોચરબ આશ્રમમાં ડીજે સાથે લગ્ન પ્રસંગ યોજાતા ભારે વિવાદ ઉભો થયો છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના એક કર્મચારીના દીકરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે મહેમાનો નાચતા નજરે પડ્યા હતા. આશ્રમ પરિસરમાં ‘કજરા રે… કજરા રે…’ જેવા ગીતો વાગવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે.
લોકોમાં નારાજગી!
વાયરલ થયેલા વીડિયોમાં ગાંધીજીની ઐતિહાસિક ધરોહર ગણાતા આશ્રમમાં લગ્ન સમારોહ અને ડીજે પાર્ટી જેવી પ્રવૃત્તિઓ જોવા મળતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને આવા પ્રસંગો માટે આશ્રમ ભાડે આપવામાં આવે છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.
વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે શું કહ્યું?
આ મુદ્દે સ્પષ્ટતા કરતા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે જણાવ્યું છે કે, 'આ લગ્નવિધિ આશ્રમના ઇવેન્ટ સેન્ટરમાં યોજાઈ હતી અને આશ્રમ પરિસરમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજી જ્યારે આફ્રિકાથી પરત આવ્યા ત્યારે તેમણે તેમના ભાણેજ મગનલાલ ગાંધીના લગ્ન પણ કોચરબ આશ્રમમાં કરાવ્યા હતા. કુલપતિના જણાવ્યા મુજબ આશ્રમ કોમર્શિયલ એક્ટિવિટી માટે આપવામાં આવ્યો નથી, પરંતુ આશ્રમના સેવકના પારિવારિક પ્રસંગ માટે જ ઉપયોગમાં લેવાયો હતો.
'ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે'
બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, સત્તાધીશોએ ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે કોચરબ આશ્રમ ગાંધીજી અને સત્યાગ્રહની ઐતિહાસિક ધરોહર છે અને આવી પ્રવૃત્તિઓથી તેની પવિત્રતા અને ગૌરવને ઠેસ પહોંચે છે. ડૉ. દોશીએ ભારપૂર્વક જણાવ્યું કે ઐતિહાસિક ધરોહરનું માન-સન્માન જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.
વિરાસતના સંરક્ષણ અંગે ફરી સવાલો ઉઠ્યા!
કોચરબ આશ્રમમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને ગાંધીજીની વિરાસતના સંરક્ષણ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.





















