Patidar community : વસ્તી સંતુલન અને ગામડાઓના ભવિષ્યને લઈને પંચાલ સમાજ બાદ હવે પાટીદાર સમાજના નેતા તથા ધારાસભ્ય હાર્દિક પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલે ગામડાઓમાં પાટીદાર સમાજની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
'...સમાજના અસ્તિત્વ માટે મોટો પ્રશ્ન બની શકે છે'
MLA હાર્દિક પટેલએ જણાવ્યું હતું કે, 'આજે ગામડાઓમાં આપણી સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે, જે આવનાર સમયમાં સમાજના અસ્તિત્વ માટે મોટો પ્રશ્ન બની શકે છે. ગામડાઓમાં પાટીદાર સમાજનું અસ્તિત્વ ટકી રહે તે માટે તેમણે સમાજના લોકોને ગંભીરતાથી વિચાર કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'ભલે કોઈ અમેરિકા રહે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં વસે, પરંતુ પોતાનું ચૂંટણી કાર્ડ ગામનું જ રાખવું જોઈએ'.
“ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આ વાત કેમ કરી હતી”
તેમણે ખાસ કરીને 18 વર્ષના દીકરા-દીકરીઓના વોટિંગ કાર્ડ વતનમાં જ કાઢાવવા પર ભાર મૂક્યો હતો. હાર્દિક પટેલ જણાવ્યું કે, આજે આ વાત સામાન્ય લાગશે, પરંતુ “ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આ વાત કેમ કરી હતી.” તેમણે સમાજને આવનારા 10 વર્ષ પછી ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા પણ અનુરોધ કર્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવાની ભલામણ કરી હતી, જેથી આર્થિક ભાર ઘટે અને વધુ પરિવારો લગ્ન માટે પ્રોત્સાહિત થાય. તેમણે દેત્રોજ પંથકમાં જમીન સંબંધિત પ્રશ્નો કે પોલીસને લગતી સમસ્યાઓમાં પાટીદાર સમાજને સહાય કરવાની પણ ખાતરી આપી હતી.
ટકોર હાલ ચર્ચાનો વિષય બની
હાર્દિક પટેલના આ નિવેદનને ગામડાઓના ભવિષ્ય અને સમાજના અસ્તિત્વ સાથે જોડીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સમાજમાં વસ્તી, મતાધિકાર અને ગામડાની ભૂમિકા અંગે તેમણે કરેલી ટકોર હાલ ચર્ચાનો વિષય બની છે.





















