Surat News: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા સુરતના પીપલોદ ખાતે નવનિર્મિત પોલીસ આવાસોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોલીસકર્મીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટીલે પોલીસ વિભાગમાં 8 કલાકની શિફ્ટ લાગુ કરવા માટે આયોજન કરવાની અપીલ કરી હતી.
રૂ. 116 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પીપલોદ પોલીસ લાઈન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 116 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
"વધારે કામના ભારણથી પોલીસકર્મીઓ બીમાર પડે છે": સી.આર. પાટીલ
કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનોની વ્યથાને વાચા આપતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસની નોકરીમાં કામના કલાકો નિશ્ચિત હોતા નથી, જેના કારણે જવાનો સતત માનસિક તણાવમાં રહે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક પોલીસકર્મીના મનમાં એવો ભાવ હોય છે કે તેઓ કામ વધારે કરે છે અને તેની સામે વળતર ઓછું મળે છે. સતત કામના ભારણને કારણે તેમના શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે અને માનસિક ટેન્શન તેમની કાર્યક્ષમતા પર અસર કરે છે."
હર્ષ સંઘવીને 8 કલાકની શિફ્ટ માટે અપીલ
મંચ પર ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ઉલ્લેખ કરતા પાટીલે વિનંતી કરી હતી કે, પોલીસ જવાનોના જીવનમાં શાંતિ આવે અને તેઓ પરિવારને સમય આપી શકે તે માટે 8 કલાકની શિફ્ટનું પ્લાનિંગ કરવું જોઈએ. જો કામના કલાકોમાં ઘટાડો થાય, તો પોલીસ દળની માનસિક સ્થિતિ અને કામ કરવાની પદ્ધતિમાં મોટો સુધારો આવી શકે છે. કાર્યક્રમના અંતે કેન્દ્રીય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લાભાર્થી પોલીસકર્મીઓને તેમના નવા મકાનની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી.





