અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલા મોટી હમામની પોળમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મકાનના કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળ હટાવી દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો
મકાન જૂનું અને જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી બચાવ કામગીરીમાં કોઈ અડચણ ન આવે. હાલ ફાયર વિભાગ અને અન્ય તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. દટાયેલા લોકોની હાલત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.




















