T20 World Cup : 2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ટુર્નામેન્ટના પહેલા જ દિવસે ભારત પોતાનો પહેલી લીગ મેચ રમશે, પરંતુ તે પહેલાં, ભારતીય ટીમના 2 ખેલાડીઓ ઘાયલ થયા છે. જે તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરનું નામ સામેલ છે. તેમાંથી એકને ગંભીર ઈજા છે, જ્યારે બીજા ખેલાડીના પ્રથમ મેચ પહેલા ફિટ થવાની શક્યતા ઓછી છે. વધુમાં, BCCI દ્વારા ક્યાં ખેલાડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે, અને વોર્મ-અપ મેચો માટે ટીમ ઈન્ડિયાની શું યોજનાઓ છે? જાણો તેની સંપૂર્ણ માહિતી.
વોશિંગ્ટન સુંદર ગુમાવશે T20 વર્લ્ડ કપ?
રિપોર્ટ્સ અનુસાર, વોશિંગ્ટન સુંદરની ઈજા ગંભીર છે, જેના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. તિલક વર્મા પણ હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી અને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી બે મેચ ગુમાવશે. જોકે, સારા સમાચાર એ છે કે, તે 2026 T20 વર્લ્ડ કપ સુધીમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. એવી શક્યતા છે કે, તે ઓછામાં ઓછી બીજી મેચ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે. મેગા ઇવેન્ટમાં ભારતની બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે છે.
જો વોશિંગ્ટન સુંદર બહાર થાય તો, કોણ આવશે?
રવિ બિશ્નોઈ હાલમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને T20I સિરીઝ માટે ટીમનો ભાગ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સએ રિયાન પરાગને સ્ટેન્ડબાય પર રહેવા અને 2 ફેબ્રુઆરીએ મુંબઈ રિપોર્ટ કરવા કહ્યું છે. તે હાલમાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે, જ્યાં તે 28 અને 30 જાન્યુઆરીએ બે મેચ સિમ્યુલેશનમાં ભાગ લેશે. રિયાન પરાગના ખભાની ઈજા અંગેનો અંતિમ રિપોર્ટ 31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. જો તે ફિટ થશે, તો તે 2 ફેબ્રુઆરીએ મુંબઈ જશે.
વર્લ્ડ કપ પહેલાંની વોર્મ-અપ મેચમાં થશે ખેલાડીઓની ફિટનેસ
2026 ના T20 વર્લ્ડ કપની તૈયારી માટે, ટીમ ઈન્ડિયા 4 ફેબ્રુઆરીએ મુંબઈમાં સાઉથ આફ્રિકા સામે વોર્મ-અપ મેચ રમી શકે છે, અથવા ટીમ ઈન્ડિયા, ઈન્ડિયા-A સામે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમવાની પણ યોજના ધરાવે છે. આ મેચ નક્કી કરશે કે, ઈજાગ્રસ્ત ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે ફિટ છે કે નહીં. શ્રેયસ ઐયર ન્યુઝીલેન્ડ T20I સિરીઝમાં તિલક વર્માના સ્થાને હતો, પરંતુ તેને તક આપવામાં આવી ન હતી. જોકે, રવિ બિશ્નોઈએ એક મેચ રમી અને સારી બોલિંગ કરી.





















