દિલ્હી સરકાર દ્વારા 1 એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ નહીં આપવાના નિર્ણયમાં વિલંબ થઈ શકે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે હજુ સુધી તમામ સ્થળોએ જરૂરી ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા નથી. તેમણે માહિતી આપી હતી કે, સરકાર સરળતા સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાને ઝડપી બનાવી રહી છે અને કેટલું કામ બાકી છે અને ક્યારે તેનો અમલ કરવામાં આવશે તે નક્કી કરવા માટે બેઠક યોજાશે.
તેમણે સ્વીકાર્યું કે કેટલાક સ્થળોએ હજુ પણ જરૂરી સુવિધાઓનો અભાવ છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જ્યાં ઉપકરણો ન હોય ત્યાં તે શક્ય તેટલી વહેલી તકે સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે યોગ્ય વ્યવસ્થાપન વિના શરૂ કરવાને બદલે તેમાં વિલંબ કરવો વધુ સારું છે.
તમામ પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશેઃ સિરસા
"અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે દિલ્હીના તમામ ફ્યુઅલ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા હોય, જે નોંધણીના વર્ષના આધારે વાહનોની ઉંમર નક્કી કરશે. જે વાહનો ધોરણોને પૂર્ણ નહીં કરે તેમને ઇંધણ આપવામાં આવશે નહીં અને દંડ કરવામાં આવશે. પ્રદૂષણ નિયંત્રણને ધ્યાનમાં રાખીને પ્રતિબંધની જાહેરાત કરતા મંત્રીએ કહ્યું હતું કે ઉપકરણો અને સોફ્ટવેર કનેક્શનનું ઈસ્ટોલેશન જલ્દી જ પૂર્ણ થઈ જશે.
જૂની ગાડીઓને ઇંધણ ના આપવાનો નિયમ ક્યારે અમલમાં આવશે?
15 વર્ષ જૂના વાહનો માટે નો-ફ્યુઅલ નિયમ લાગુ કરવા માટેની સમયરેખા વિશે પૂછવામાં આવતા, મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, "નીતિને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ નિયુક્ત પેટ્રોલ પંપને આવી સુવિધાથી સંપૂર્ણપણે સજ્જ થવામાં થોડા વધુ દિવસો લાગી શકે છે. અમે એવી સ્થિતિ નથી ઇચ્છતા કે જ્યાં કેટલાક સ્થળોએ આ નિયમ શરૂ થાય અને કેટલાક સ્થળોએ તે તૈયાર ન હોય. અમારું લક્ષ્ય સંપૂર્ણ અમલીકરણ છે.
મંત્રી મંજિંદર સિંહ સિરસાએ એમ પણ કહ્યું કે તેઓ હાલમાં મૂલ્યાંકન કરી રહ્યા છે કે આગામી દિવસોમાં કેટલી પ્રગતિ થઈ શકે છે. આજની રાત સુધીમાં રોલઆઉટ સમયરેખા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.





