ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડી અને વહેલી સવારના ગાઢ ધુમ્મસના કારણે દેશની રાજધાની દિલ્હીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વિમાન સેવાઓને માઠી અસર પહોંચી છે. રવિવારે સવારથી જ એરપોર્ટ પર ઓપરેશન ખોરવાતા કુલ 110 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની ફરજ પડી હતી. જેમાં એરપોર્ટ પર ઉતરાણ કરનારી 59 અને દિલ્હીથી રવાના થનારી 51 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંદાજે 370 થી વધુ વિમાનો પોતાના નિયત સમય કરતા મોડા દોડ્યા હતા. સરેરાશ દરેક ફ્લાઈટમાં 26 મિનિટ જેટલો વિલંબ નોંધાયો હતો.
દિલ્હી એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ દરરોજ અહીંથી અંદાજે 1300 જેટલી ફ્લાઈટ્સનું સંચાલન થાય છે પરંતુ પ્રતિકૂળ હવામાનને લીધે તેમાં અવરોધ ઉભો થયો છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી અન્ય એરપોર્ટ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.
હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં
એક તરફ ધુમ્મસની સમસ્યા છે તો બીજી તરફ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર પણ જોખમી સપાટીએ પહોંચ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા અનુસાર રવિવારે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 386 નોંધાયો હતો જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. શહેરના 16 મોનિટરિંગ સેન્ટરો પર AQI લેવલ 401 થી 500 ની વચ્ચે એટલે કે 'ગંભીર' શ્રેણીમાં નોંધાયું હતું જ્યારે અન્ય વિસ્તારોમાં પણ હવાની સ્થિતિ ચિંતાજનક રહી હતી. સીપીસીબીના માપદંડ મુજબ 0 થી 50 વચ્ચેનો સ્કોર જ સ્વાસ્થ્ય માટે સારો ગણવામાં આવે છે પરંતુ દિલ્હીમાં આ આંકડો સાત ગણો વધારે જોવા મળ્યો છે.
તાપમાન અને હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સરેરાશ કરતા 1.3 ડિગ્રી વધુ છે. આખો દિવસ મહત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આઈએમડી દ્વારા મધ્યમ ધુમ્મસને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. વાહનચાલકો અને મુસાફરોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત
માત્ર દિલ્હી જ નહીં પરંતુ પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ અસર જોવા મળી છે. ખરાબ હવામાનને કારણે શ્રીનગરની 11 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જમ્મુ અને દિલ્હીમાં સર્જાયેલી હવામાનની વિષમતાને લીધે શ્રીનગર જતી અન્ય 2 ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવી પડી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં 4 વિમાનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે અને આકાશ ચોખ્ખું થયા બાદ જ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.





















