Dawood Ibrahim: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દાઉદ ઈબ્રાહિમ સિન્ડિકેટ સાથે જોડાયેલા એક મોટા આતંકી મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આઠ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલ દિલ્હી અને મુંબઈ સહિત ભારતના વિવિધ શહેરોમાં આતંકી હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યું હતું. આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા છે, જેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ હજુ પણ પાકિસ્તાનના કરાચી સ્થિત ક્લિફ્ટન રોડ વિસ્તારમાંથી પોતાનું નેટવર્ક સંચાલિત કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
દાઉદના નજીકના સાગરિત સાથે હતો સીધો સંપર્ક
તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ મુખ્યત્વે દાઉદ ઈબ્રાહિમના નજીકના સાગરિત મુદસ્સર હુસૈન સૈયદ ઉર્ફે "મુન્ના ઝિંગાડા" સાથે સંપર્કમાં રહેતા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ઓપરેશન કરાચીના ક્લિફ્ટન રોડ વિસ્તારમાંથી સંચાલિત થતું હતું. આ જ કારણ છે કે દાઉદ ઈબ્રાહિમ હજુ પણ ત્યાં જ રહેતો હોવાની આશંકા વધુ મજબૂત બની છે.
કરાચીમાં દાઉદના અનેક સુરક્ષિત ઠેકાણા
સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદ ઈબ્રાહિમ પાસે કરાચીમાં અનેક સુરક્ષિત સરનામાં છે. ક્લિફ્ટન રોડ નજીકની સાઉદી મસ્જિદ વિસ્તારને તેનો મુખ્ય ઠેકાણો માનવામાં આવે છે. આ ઉપરાંત ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, નૂરાબાદ વિસ્તાર અને અન્ય કેટલાક સ્થળો પર પણ તેના સુરક્ષિત નિવાસસ્થાન હોવાનું કહેવાય છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે, દાઉદના મોટાભાગના નજીકના સાથીદારો પણ આ વિસ્તારોની આસપાસ રહે છે અને આતંકી તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સંકલન અહીંથી જ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ-ડીલ ફાઈનલ: પિયુષ ગોયલની મોટી જાહેરાત
ISIની સંડોવણીના આરોપ
દિલ્હી પોલીસની તપાસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ISIના અધિકારીઓ નિયમિત રીતે મુન્ના ઝિંગાડા સાથે બેઠક કરતા હતા અને ભારત સામેના હુમલાઓ માટે માર્ગદર્શન આપતા હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આતંકી મોડ્યુલ માટે જરૂરી હથિયારો અને વિસ્ફોટકો ભારત સુધી પહોંચાડવામાં પણ ISIના નેટવર્કની ભૂમિકા હોવાની શંકા છે.
દિલ્હી અને મુંબઈ હતા મુખ્ય નિશાના
પોલીસ તપાસ મુજબ, આ આતંકી મોડ્યુલનો મુખ્ય ઉદ્દેશ દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં હુમલા કરાવવાનો હતો. પ્રાથમિક હુમલાઓ સફળ રહે તો અન્ય શહેરોમાં પણ આતંકી પ્રવૃત્તિઓ વિસ્તરાવવાની યોજના હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે મહત્વના સ્થળોને નિશાન બનાવી ગ્રેનેડ હુમલાઓ કરવાની યોજના ઘડવામાં આવી હતી.
હુમલા બાદ નેપાળ મારફતે ભાગવાની યોજના
પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે હુમલાઓ બાદ તેમની સુરક્ષિત રીતે બહાર નીકળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મુન્ના ઝિંગાડાએ તેમને નેપાળ મારફતે બહાર કાઢી દુબઈ પહોંચાડવાની ખાતરી આપી હતી. આ માટે સમગ્ર નેટવર્કને નાણાકીય મદદ પણ આપવામાં આવી રહી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આતંકી યોજના સફળ થયા બાદ મોડ્યુલને આશરે 20 લાખ રૂપિયાનું ફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ મોડ્યુલ માત્ર એક આતંકી ગેંગ નહીં પરંતુ અંડરવર્લ્ડ અને આતંકવાદી તત્વો વચ્ચેની સાંઠગાંઠનું ઉદાહરણ છે. ભારતની સુરક્ષા એજન્સીઓ માટે આ ખુલાસો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે દેશની સુરક્ષા સામે ઉભા થતા નવા ખતરાઓ અંગે ચેતવણીરૂપ છે.





