Home National Tmc Crisis West Bengal Ritabrata Banerjee Mamata Banerjee Political Rebellion

મહારાષ્ટ્ર બાદ શું હવે બંગાળમાં પણ ખેલાશે 'શિંદે' જેવો મોટો ખેલ? : TMC નેતાના એક નિવેદનથી મમતા બેનર્જીના કેમ્પમાં મચી ગયો મોટો ખળભળાટ

TMC Crisis Ritabrata Banerjee
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 09:02 AM IST

TMC Crisis: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટું રાજકીય વાવાઝોડું ઊભું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તાજેતરની ચૂંટણીમાં મળેલા ફટકા બાદ હવે પાર્ટીની અંદરથી જ અસંતોષના અવાજો ઉઠી રહ્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાની સક્રિયતાએ મમતા બેનર્જી માટે નવી રાજકીય મુશ્કેલીઓ ઊભી કરી છે. મહારાષ્ટ્રમાં વર્ષ 2022માં એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા હતા. હવે પશ્ચિમ બંગાળમાં પણ તે જ પ્રકારની રાજકીય સ્ક્રિપ્ટ લખાઈ રહી હોવાની અટકળો જોર પકડી રહી છે.

બાગી ધારાસભ્યોની બેઠકથી ચર્ચાઓ તેજ

સૂત્રોના જણાવ્યા મુજબ, ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ કોલકાતાના ધારાસભ્ય હોસ્ટેલમાં TMCના અનેક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ખાસ વાત એ છે કે મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી તાજેતરની ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. બાકીના ધારાસભ્યોની ગેરહાજરીએ પાર્ટીની અંદર ચાલી રહેલા અસંતોષને વધુ સ્પષ્ટ કર્યો છે.

અભિષેક બેનર્જી સામે વધી રહ્યો છે વિરોધ

TMCની અંદર ઘણા નેતાઓ અને કાર્યકરો ખુલ્લેઆમ અભિષેક બેનર્જીની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા હોવાનું કહેવાય છે. કેટલાક નેતાઓનું માનવું છે કે પાર્ટી ધીમે ધીમે પરિવારવાદ અને કેન્દ્રીકરણ તરફ આગળ વધી રહી છે. પાર્ટીના અસંતુષ્ટ વર્ગનો આક્ષેપ છે કે લાંબા સમય સુધી સત્તામાં રહેવાને કારણે TMC જમીન સ્તરની વાસ્તવિકતાઓથી દૂર થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર, કટ મની અને સિનિયર નેતાઓની અવગણના જેવા મુદ્દાઓને લઈને પણ અસંતોષ વધી રહ્યો છે.

આ પણ વાંચો: તો શું દાઉદ હજુ પણ કરાચીથી કરી રહ્યો છે ઓપરેટ?: દિલ્હી પોલીસે પકડેલા 8 આતંકીઓએ ખોલ્યા અંડરવર્લ્ડના ભયાનક સસ્પેન્સ!

TMCમાં ભંગાણના એંધાણ?

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે હાલની પરિસ્થિતિ TMC માટે ચિંતાજનક બની શકે છે. અનેક સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો પહેલેથી જ રાજીનામાં આપી ચૂક્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક નેતાઓ અન્ય રાજકીય વિકલ્પો શોધી રહ્યા હોવાની પણ અટકળો છે. ઋતબ્રત બેનર્જીની સતત સક્રિયતા અને અન્ય ધારાસભ્યો સાથેની મુલાકાતોએ એ પ્રશ્ન ઊભો કર્યો છે કે શું TMCની અંદર કોઈ નવું જૂથ ઉભું થઈ રહ્યું છે?

શું ઋતબ્રત બેનર્જી બનશે TMCના 'શિંદે'?

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ શિવસેનામાંથી અલગ થઈને નવી રાજકીય દિશા આપી હતી. હવે પશ્ચિમ બંગાળમાં ઋતબ્રત બેનર્જી એ જ પ્રકારની ભૂમિકા ભજવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમની બેઠકો અને રાજકીય સક્રિયતાએ મમતા બેનર્જી અને TMCના નેતૃત્વ માટે ચિંતાના વાદળો ઊભા કર્યા છે.

બંગાળની રાજનીતિ પર સૌની નજર

આગામી દિવસોમાં TMCની અંદર શું ફેરફાર થાય છે અને બાગી નેતાઓ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. જો અસંતોષ વધુ વેગ પકડશે તો પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટા રાજકીય ફેરફારો જોવા મળી શકે છે. ફિલહાલ, TMCની અંદર ચાલી રહેલી ખેંચતાણે બંગાળના રાજકારણને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now