કેન્દ્રીય કેબિનેટે પોતાના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની મોદી સરકારે ડીએમાં 2 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. કેબિનેટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજનાને પણ લીલી ઝંડી આપી છે.
હકીકતમાં, કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2% વધારાને મંજૂરી આપી છે. આ સુધારા સાથે ડીએ 53% થી વધીને 55% થશે. તમને જણાવી દઈએ કે આ વધારો સાતમા પગાર પંચ હેઠળ થયો છે. સરકારે આઠમા પગાર પંચની પણ રચના કરી છે. નવા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026ના મહિનાથી લાગુ થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરના કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે. તેના અમલીકરણ પછી તેમના મૂળ પગાર (8મા પગાર પંચની મૂળભૂત પગાર) અને અન્ય ભથ્થાઓમાં મોટો વધારો થશે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ અંગે મોટું અપડેટ આપ્યું હતું.
8મા પગાર પંચ પર નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રીએ કહ્યું કે 8મા પગાર પંચની શરતો સંદર્ભે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો પાસેથી ઇનપુટ્સ માંગવામાં આવ્યા છે. કમિશનની ભલામણો આવ્યા બાદ અને સરકાર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવે પછી જ પગાર અને પેન્શનમાં ફેરફારનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં ભારતમાં લગભગ 36.57 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (1 માર્ચ, 2025 સુધીમાં) અને 33.91 લાખ પેન્શનરો (31 ડિસેમ્બર, 2024 સુધીમાં) છે. આ ઉપરાંત સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પેન્શનરોને પણ આ પગાર પંચનો લાભ મળશે.
જાન્યુઆરી 2025માં જ 8મા પગાર પંચની રચના માટે મંજૂરી
નાણામંત્રીએ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર પેન્શન સમાનતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2025માં જ 8મા પગાર પંચ (8મું CPC)ની રચનાને મંજૂરી આપી હતી.





















