Cyclone Ditwah: ચક્રવાતી તોફાન ‘Ditwah’એ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં સતત ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ, હાઇવે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે ચેન્નાઈ શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે.
શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ભારે વરસાદ અને પાણી ભરાવાના જોખમને પગલે ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જિલ્લામાં આજે (2 ડિસેમ્બર, 2025) તમામ શાળાઓ તથા કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્રણેય જિલ્લાના કલેક્ટરોએ સોમવારે મોડી રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ સાવચેતીનો પગલો લેવાયો છે.
ત્રણ લોકોનાં મોત, પાકને ભારે નુકસાન
તમિલનાડુ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે.કે.એસ.આર. રામચંદ્રને જણાવ્યું કે ચક્રવાતી વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. કાવેરી ડેલ્ટા વિસ્તારના ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થયું છે.
ચેન્નાઈમાં પૂરનું સંકટ
વેલાચેરીની AGS કોલોની સંપૂર્ણપણે ડૂબી ગઈ
પૂનમલીમાં સરકારી બસ ફસાઈ
કાઠીપરા ફ્લાયઓવર સહિત અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ
ચેન્નાઈ એરપોર્ટથી 10 ફ્લાઇટ્સ રદ
અદ્યાર, કોસસ્થલૈયાર અને અરનિયાર નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેન્નાઈ જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
IMDએ જણાવ્યું કે ચક્રવાત ‘Ditwah’ હવે ઊંડા ડિપ્રેશનમાં ફેરવાયું છે, પરંતુ તેની અસર હજુ ચાલુ રહેશે. મંગળવાર સવાર સુધી ચેન્નાઈ અને તિરુવલ્લુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
મુખ્યમંત્રી સ્ટાલિનની જાહેરાત
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક વળતરની જાહેરાત કરી છે. ઓક્ટોબરથી ચાલુ ઉત્તરપૂર્વ ચોમાસા દરમિયાન થયેલા પાક, ઘરો, પશુધન અને માનવ જીવનના નુકસાન માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માંથી રાહત આપવામાં આવશે. તેમણે X પર લખ્યું, “હું પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલનું સીધું નિરીક્ષણ કરી રહ્યો છું. અમે તમામ પ્રકારની મદદ અને રાહત શિબિરોમાં સુરક્ષા પૂરી પાડીશું.”રહેવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સરકારી સૂચનાઓનું સખત પાલન કરવા અપીલ કરવામાં આવી છે.





















