ગુજરાતના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા વિવાદાસ્પદ કાંડને લઇને પોલીસ અને આરોગ્ય વિભાગે મહત્વની કાર્યવાહી કરી છે. મેડિકલ માફિયાઓ, જેઓએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) નો ખોટો ફાયદો ઉઠાવ્યો, તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
કોની કોની ધરપકડ થઈ
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓની ધરપકડ વિવિધ સ્થળોએ થઈ છે. આ મેડિકલ માફિયાઓ, જે મધ્ય ગુજરાતના ફાર્મહાઉસોમાં છુપાયેલા હતા, તેમને ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી પકડી પાડ્યા.
આ કાંડમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓ છે, જેમાંથી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યાં છે, જ્યારે 3 વોન્ટેડ છે, જેમાંથી એક વિદેશમાં છે. આરોપીઓએ ધરપકડથી બચવા માટે પોતાના જૂના મોબાઈલ નંબર બંધ કરી નવા મોબાઈલ નંબર વાપરતા હતા. જો કે આ તમામ નવા મોબાઈલ નંબરથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનાં સંપર્કમાં હતા. જો કે પોલીસ તેમની આ તમામ ગતિવિધીયો પર નજર રાખી રહી હતી.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખ્યાતિ હોસ્પિટલ કાંડને ખૂબ ગંભીરતાથી લીધો છે, અને આ મામલે કડક અને ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ કેમ્પોમાં થયેલા ઓપરેશનમાં અનેક ગેરરિતી થઈ છે. ખ્યાતિ હોસ્પિટલએ સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને તેમના જીવન સાથે રમત રમવાનો ધંધો કર્યો છે. હોસ્પિટલનાં મેડિકલ કેમ્પનું આયોજન રાહુલ જૈન અને મિલિન્દ પટેલ દ્વારા કરવામાં આવતુ હતુ. ગુજરાત પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આ કિસ્સાની તપાસ શરૂ કરી છે. આ કેસમાં ફરાર લોકોની શોધખોળ જારી છે, તેમની ઝડપી ધરપકડ કરવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.
રાજય સરકાર અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરીને કારણે ખ્યાતિ હોસ્પિટલના તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કિસ્સો એ ગુજરાતમાં આરોગ્ય સેવાઓ અને મેડિકલ માફિયા વચ્ચે સાંઠગાંઠનો એક ગંભીર પુરાવો બની રહ્યો છે. ત્યારે આ મામલે ખુબ ગંભીરતાથી તપાસ થાય એ જરૂરી છે, જેથી રાજ્યમાંથી મેડિકલ માફિયાઓનું દૂષણ ડામી શકાય.





















