Home Gujarat Vadodara Shinor Missing Girl Divya Body Found In Narmada Canal Vadodara

3 દિવસથી દીકરીની રાહ જોતા પરિવાર પર તૂટી પડ્યું આભ : નર્મદા કેનાલમાંથી મળ્યો દિવ્યાનો મૃતદેહ

મૃત બાળકીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 18, 2026, 05:54 AM IST

Vadodara NEWS: વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલી પાંચ વર્ષની બાળકી દિવ્યા ઉર્ફે દિવુનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળકીના ગુમ થવાના બનાવે પહેલેથી જ સ્થાનિકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, ત્યારે હવે તેના મૃતદેહની મળેલી જાણકારીથી પરિવારમાં આક્રંદ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

પોલીસને નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળતા જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દિવ્યા ઉર્ફે દિવુ કેવી રીતે પોતાના ઘરથી નર્મદા કેનાલ સુધી પહોંચી અને તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે.

રાત્રે ખાટલામાં સૂતી બાળકી અચાનક ગુમ થઈ હતી

મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાના એક ગામમાં રહેતી પાંચ વર્ષની દિવ્યા ઉર્ફે દિવુ પોતાના પરિવાર સાથે ઘર બહાર ખાટલા પર સૂતી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકી છેલ્લે રાત્રે આશરે 11:30 વાગ્યે જોવા મળી હતી. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો પણ નજીકમાં જ આરામ કરી રહ્યા હતા.

વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ પરિવારજનોની આંખ ખુલતા બાળકી ખાટલામાં જોવા મળી નહોતી. શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું હતું કે કદાચ દિવ્યા આસપાસ ક્યાંક ગઈ હશે, પરંતુ લાંબા સમય સુધી શોધખોળ છતાં તેનો કોઈ પત્તો ન લાગતા ચિંતા વધી ગઈ હતી.

પરિવારજનોએ તાત્કાલિક ગામ, ફળિયા, નજીકના ખેતરો અને આસપાસના વિસ્તારોમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકો પણ આ શોધ અભિયાનમાં જોડાયા હતા, પરંતુ અનેક કલાકોની મહેનત બાદ પણ દિવ્યાનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો.

આ પણ વાંચો: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા સાવધાન! : અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંની છાશમાંથી વંદો નીકળતા ખળભળાટ, ગ્રાહકે શેર કર્યો ચોંકાવનારો અનુભવ

પોલીસ ફરિયાદ બાદ શરૂ થઈ હતી વ્યાપક તપાસ

બાળકીનો કોઈ પત્તો ન લાગતા પરિવાર દ્વારા શિનોર પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને વિવિધ ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે ગામ અને આસપાસના વિસ્તારોમાં તપાસ ઉપરાંત સંભવિત માર્ગો, સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી હતી. સાથે સાથે બાળકી અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર અપીલ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા કર્યા હતા. એક પાંચ વર્ષની બાળકી મધરાતે અચાનક કેવી રીતે ગુમ થઈ શકે અને તેનો કોઈ પત્તો ન લાગે તે મુદ્દે અનેક અટકળો પણ ચાલી રહી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ચર્ચાસ્પદ પ્રજ્ઞાચક્ષુ વેપારી કેસમાં મોટો વળાંક : મહિલા PSI સોનલ રાઠોડની મુશ્કેલીઓ વધી, કોર્ટનો ઝટકો

નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ

શોધખોળ દરમિયાન પોલીસને મહત્વની સફળતા ત્યારે મળી જ્યારે શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં મૃતદેહ ગુમ થયેલી દિવ્યા ઉર્ફે દિવુનો હોવાનું સામે આવ્યું હતું.

મૃતદેહ મળવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને કબ્જે લઈ પંચનામાની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતદેહ મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્રણ દિવસથી આશા રાખી રહેલા પરિવારને આખરે બાળકીના મૃત્યુના સમાચાર મળતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં આગનું વિકરાળ તાંડવ : ફાર્મસીમાં ભભૂકેલી આગની જ્વાળાઓએ TVS શોરૂમ-રેસ્ટોરન્ટને લીધા ઝપેટમાં, 15થી વધુ વાહનો ખાખ

અકસ્માત, અપહરણ કે અન્ય કોઈ કારણ?

હાલ પોલીસ કોઈ પણ સંભાવનાને નકારી રહી નથી. દિવ્યા પોતાના ઘરથી કેનાલ સુધી કેવી રીતે પહોંચી, શું તે અકસ્માતે પાણીમાં પડી ગઈ હતી કે પછી તેની સાથે કોઈ ગુનાહિત ઘટના બની હતી તે મુદ્દે તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ કેસમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે. પોલીસ ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના

આધારે પણ તપાસ આગળ વધારી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ડેટા અને અન્ય પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. જો કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આરોપી સુધી પહોંચવા પોલીસનો ધમધમાટ

મૃતદેહ મળ્યા બાદ હવે પોલીસનું મુખ્ય ધ્યાન સમગ્ર ઘટનાક્રમ પાછળના કારણો શોધવા પર કેન્દ્રિત થયું છે. જો આ બનાવમાં કોઈ વ્યક્તિ અથવા ગેંગની સંડોવણી હશે તો તેને શોધી કાઢવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલમાં તપાસના તમામ પાસાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને કોઈપણ દિશામાં તપાસ અટકાવવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવાઓ મળ્યા બાદ વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. શિનોરમાં બનેલી આ કરૂણ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતા ફેલાવી છે. પાંચ વર્ષની નિર્દોષ બાળકીના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે તે જાણવા હવે સૌની નજર પોલીસ તપાસ પર મંડાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now